Spread the love

ગાંધીનગર, 27 જુલાઈ, ગુજરાતમાં સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024નું આયોજન 29 જુલાઈથી કર્યું છે, જે એક મહિના સુધી ચાલશે.
રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ચોમાસાની આ ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ગુજરાત સહિત દેશ-વિદેશના અનેક લોકો વર્ષાઋતુમાં જ્યારે મોટી સંખ્યામાં સાપુતારાની મુલાકાતે ઉમટી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે પણ દેશ-વિદેશના પર્યાવરણ-પ્રકૃતિ પ્રેમીઓને સાપુતારા પ્રત્યે આકર્ષિત કરવા માટે 29 જુલાઈથી સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024નું આયોજન કર્યું છે, જે એક મહિના સુધી ચાલશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ મહોત્વનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા માત્ર હિલ સ્ટેશન તરીકે જ પ્રખ્યાત નથી, પરંતુ સાપુતારાની આસપાસ આવેલ અનેક આસ્થાના સ્થળો પણ શ્રદ્ધાળુઓના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. આવું જ એક મહત્વનું આસ્થાનું સ્થળ છે શબરી ધામ.
સાપુતારા ગિરિમથકના પ્રવાસે આવતા પ્રવાસીઓ મોટાભાગે શબરી ધામની ચોક્કસ મુલાકાત લે છે, કારણ કે આ સ્થળનો ભગવાન શ્રી રામ સાથે સંબંધ છે. સુબીર ગામથી પૂર્વ દિશામાં આશરે ત્રણ કિલોમીટરના અંતરે શબરી ધામ અંગે સ્થાનિક માન્યતા મુજબ આ સ્થળે શબરી સાથે ભગવાન રામની મુલાકાત થઈ હતી, જેનો ઉલ્લેખ રામાયણમાં પણ કરવામાં આવેલ છે. કહેવાય છે કે ભગવાન શ્રી રામ વનવાસ દરમિયાન સીતાની શોધમાં અહીં આવ્યા હતાં, જ્યાં તેમના પરમ ભક્ત માતા શબરી પોતાના પ્રભુ શ્રી રામની વાટ જોઈ રહ્યા હતાં. અહીં જ ભગવાન શ્રી રામે માતા શબરીના એંઠા બોર આરોગ્યા હતા અને તેમણે જ ભગવાન શ્રી રામને સીતાની શોધ માટે આગળનો માર્ગ જણાવ્યો હતો.
અહીંના આદિવાસીઓની સંસ્કૃતિમાં ભગવાન રામ, સીતા, લક્ષ્મણને લગતી લોકવાર્તાઓ પણ સાંભળવા મળે છે. અહીં ચારે તરફ વનરાજીની વચ્ચે નાના ટેકરા પર આવેલા ભવ્ય મંદિર ખાતે રામાયણ સાથે સંકળાયેલી રામ-શબરી મિલનના પ્રસંગની તસવીરો તેમ જ મૂર્તિઓ જોવા મળે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર પૌરાણિક તથા ઐતિહાસિક મહત્વ ધરાવતા યાત્રાધામોના વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે અને એટલે જ રાજ્ય સરકારે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (જીપીવાયવીબી)ના માધ્યમથી શબરી ધામ ખાતે અંદાજે રૂ. 10 કરોડના ખર્ચે વિકાસ કાર્યોનો ધમધમાટ શરૂ કર્યો છે.