Spread the love

ભાવનગર,08 જૂન, પશ્ચિમ રેલવેના ગુજરાતમાં ભાવનગર રેલવે ડિવિઝનના લોકો પાયલટની સતર્કતાએ એપ્રિલ અને મે બે મહિનામાં 13 સિંહોના જીવ બચાવ્યા.
ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારે આજે જણાવ્યું હતું કે લોકો પાઇલોટ્સ દ્વારા લેવામાં આવેલી સાવચેતીને કારણે, એપ્રિલ-2024 અને મે-2024 માત્ર બે મહિનામાં 13 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવવામાં આવ્યો છે.
ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદે જણાવ્યું હતું કે, લોકો પાઇલટ્સને ઉત્કૃષ્ટ કામગીરી કરવા પ્રોત્સાહિત કરવા માટે ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા તેમને એવોર્ડ પણ આપવામાં આવે છે. ભાવનગર ડિવિઝન દ્વારા સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે.  ડિવિઝન દ્વારા સ્પીડ કંટ્રોલ માટે લોકો પાયલોટને કડક સૂચના આપવામાં આવી છે. તેમને ઢસાથી પીપાવાવ, ગાધકડાથી વિજપડી, રાજુલા સિટીથી પીપાવાવ પોર્ટ અને રાજુલાથી મહુવા સેક્શન જેવા વનવિસ્તારોમાં ખાસ કાળજી રાખવા અને હોર્ન વગાડવા અને ઝડપ મર્યાદા નિયંત્રણમાં રાખવા સૂચનાઓ આપવામાં આવી છે, જેનું લોકો પાઇલોટ્સ દ્વારા પાલન કરવામાં આવી રહ્યું છે. સિંહો રેલ્વે ટ્રેકની નજીક હોવાની સ્થિતિ જાણવા મળે છે ત્યારે રેલ્વે પ્રશાસન દ્વારા સાવચેતીના આદેશો (Caution Order) જારી કરવામાં આવે છે. રેલ્વે ટ્રેક નજીક સિંહોની હિલચાલ પર વન વિભાગ અને રેલ્વે પ્રશાસન દ્વારા બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.