Spread the love

આણંદ,29 મે, ભારતના 50 શહેરોમાં 100 સિનેમાઘરોમાં ફિલ્મ ‘મંથન’1 જૂને પુનઃસ્થાપિત રિલીઝ થશે.
GCMMF (અમૂલ) ના એમડી ડૉ જયેન મહેતાએ આજે જણાવ્યું કે શ્યામ બેનેગલની ફિલ્મ ‘મંથન’ને પુનઃસ્થાપિત કર્યા બાદ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024ના વર્લ્ડ પ્રીમિયરમાં જબરદસ્ત સફળતા મળી છે. ત્યારે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (અમૂલ) અને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા PVR-INOX લિમિટેડ અને સિનેપોલિસ ઇન્ડિયામાં ફિલ્મ રિલીઝ કરવામાં આવી રહી છે. ગાંધીનગર, અમદાવાદ, આણંદ, નડિયાદ, વડોદરા, સુરત, રાજકોટ, મુંબઇ, પુણે, નાગપુર, દિલ્હી, બેંગલુરુ, ચેન્નાઇ, કોલકત્તા, સહિત ભારતમાં 50 શહેરોમાં 100  સિનેમાઘરોમાં 1 અને 2 જૂન 2024ના રોજ ફિલ્મ રિલીઝ કરાશે.
‘મંથન’ અસાધારણ ડેરી સહકારી ચળવળની શરૂઆતનું કાલ્પનિક સંસ્કરણ છે, શ્વેત ક્રાંતિના પિતા ડૉ. વર્ગીસ કુરિયનની પ્રેરણાથી ભારત દૂધની અછત ધરાવતા રાષ્ટ્રમાંથી વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક તરીકે પરિવર્તિત થયું છે. ‘મંથન’ ભારતની પ્રથમ ક્રાઉડફંડેડ ફિલ્મ છે. જે પાંચ લાખ ડેરી ખેડૂતો દ્વારા બનાવવામાં આવી છે. જેના માટે દરેક ડેરી ખેડૂતોએ 2 રૂપિયાનું યોગદાન આપ્યું હતું.
આ ફિલ્મમાં ગિરીશ કર્નાડ, નસીરુદ્દીન શાહ, સ્મિતા પાટીલ, ડૉ મોહન અગાશે, કુલભૂષણ ખરબંદા, અનંત નાગ અને આભા ધુલિયા સહિતના કલાકારો હતા. મંથનનું શૂટિંગ જાણીતા સિનેમેટોગ્રાફર અને દિગ્દર્શક ગોવિંદ નિહલાની દ્વારા કરવામાં આવ્યું હતું, અને સંગીત જાણીતા સંગીતકાર વનરાજ ભાટિયાએ આપ્યું હતું.
ડૉ જયેન મહેતાએ જણાવ્યું કે,”ભારતને વિશ્વમાં સૌથી મોટા દૂધ ઉત્પાદક બનાવવામાં ‘મંથન’ ફિલ્મનો ઘણો ફાળો છે. અમૂલ મોડલ પ્રમાણે અન્ય સહકારી ડેરીઓ બનાવવા માટે આ ફિલ્મ દ્વારા ફેલાવવામાં આવેલી જાગૃતીથી સમગ્ર દેશમાં સહકારી ડેરી ચળવળને વેગ આપી સંગઠિત કરવામાં મહત્વની ભૂમિકા રહી છે. સહકારી મોડલ આજે પણ સુસંગત છે કારણકે ભારત કદાચ વિશ્વનો એક માત્ર દેશ છે કે જેની પાસે સહકાર મંત્રાલય છે. જેનું વિઝન સહકારી દ્વારા તમામ ક્ષેત્રોના વિકાસને સુનિશ્ચિત કરવાનો છે. 1976માં રૂ 10 લાખના બજેટ સાથે નિર્મિત ફિલ્મે અમૂલને વાર્ષિક રૂ 10 લાખ કરોડનું દૂધ ઉત્પાદન મૂલ્ય જનરેટ કરવામાં મદદ કરી છે.”
મંથન ફિલ્મના નિર્દેશક શ્યામ બેનેગલે જણાવ્યું હતું કે, “કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયરમાં પુનઃસ્થાપિત ‘મંથન’ ફિલ્મને મળેલા અદભુત પ્રતિસાદ વિશે સાંભળીને મને  ખૂબ આનંદ થયો. પરંતુ મને એ વાતનો વધુ આનંદ છે કે ફિલ્મ ફરી દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. મારી ફિલ્મોમાં ‘મંથન’ પ્રથમ રિસ્ટોરેશન હશે જે થિયેટરમાં રિલીઝ થશે. 1976માં જ્યારે ‘મંથન’ રિલીઝ થઇ, ત્યારે મોટી સફળતા હતી. નાના શહેરો અને ગામડાઓમાંથી ખેડૂતો બળદગાડામાં મુસાફરી કરીને આ ફિલ્મ જોવા આવતા હતા. 48 વર્ષ પછી આ જૂનમાં રિસ્ટોર કરેલી ફિલ્મ મોટા પડદા પર આવી રહી છે, ત્યારે હું આશા રાખું છું કે ભારતભરમાં લોકો ફિલ્મ જોવા સિનેમાઘરોમાં આવશે.”
ફિલ્મના કલાકાર નસીરુદ્દીન શાહએ જણાવ્યું હતું કે,”કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મંથનનું પ્રીમિયર જોવુ મારા માટે ખૂબ જ ભાવનાત્મક અનુભવ હતો. હું લગભગ 50 વર્ષ પહેલાની યાદોથી અભિભૂત થઇ ગયો, જ્યારે સિનેમા પરિવર્તનનું માધ્યમ હતું, અંતે સ્ટેન્ડિંગ ઓવેશનથી આંખોમાં આસું વહી ગયા હતા, તે માત્ર મારા માટે જ નહીં પરંતુ ફિલ્મ માટે પણ હતા, જે સમયની કસોટી અને પુનઃ સંગ્રહની સુંદરતા માટે હતા. મને આનંદ છે કે આ ફિલ્મ ભારતભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને મને આશા છે કે લોકો મોટા પડદા પર ઐતિહાસિક ફિલ્મને જોવાની તક નહીં ગુમાવે. હું ફરીથી ફિલ્મ જોવા માટે થિયેટરમાં જઇશ.”
ફિલ્મના દિગ્દર્શક ગોવિંદ નિહલાનીએ જણાવ્યું હતું કે, “મંથન ફિલ્મની પુનસ્થાપના સાથે સંકળાયેલ હોવાને કારણે અને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશને પુનઃસ્થાપનમાં મૂળ કામને જાળવવાની ખાતરી સાથે ઘણા મહિનાઓથી ઉદ્યમી પ્રયાસ કર્યા છે, તે જોયા પછી હું ફિલ્મને ફરીથી મોટા પડદા પર જોવા માટે રાહ જોઇ શકતો નથી. શ્યામ અને મે 50 વર્ષ પહેલા જે કામની કલ્પના કરી હતી તે ફરીથી જીવંત થઇ છે.”
શિવેન્દ્ર સિંહ ડુંગરપુરે જણાવ્યું હતું કે, “જ્યારે ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન કોઇ ફિલ્મની પુનઃસ્થાપનાનું કામ કરે છે, ત્યારે તેનો ઉદ્દેશ ફિલ્મના મૂળ તત્વો જળવાયેલા રહે તે છે. પાંચ લાખ ડેરી ખેડૂતોના ભંડોળથી બનાવવામાં આવેલ ‘મંથન’ લોકો દ્વારા અને લોકો માટે બનાવવામાં આવેલી ફિલ્મ છે, અને અમે જાણતા હતા કે પુનઃસ્થાપિત ફિલ્મ બહોળા દર્શકો સુધી પહોંચાડવા માટે ફરીથી મોટા પડદા પર બતાવવામાં આવે તે જરૂરી છે. મને ખૂબ જ આનંદ છે કે મુંબઇ, દિલ્હી, કોલકાતા અને ચેન્નાઇ જેવા મોટા મહાનગરોથી લઇને ધારવાડ, કાકીનાડા, નડિયાદ, ભટિંડા, પાનીપત અને કોઝિકોડ જેવા નાના શહેરોના દર્શકોને સુંદર રીતે પુનઃસ્થાપિત ફિલ્મ જોવાની તક મળશે.”