Spread the love

સોમનાથ 05 જૂન, વૈશાખ માસની માસિક શિવરાત્રીની શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણી કરવામાં આવી.
શ્રી સોમનાથ મંદિર તરફ થી આજે જણાવવામાં આવ્યું કે વૈશાખ કૃષ્ણ તેરસ પ્રથમ જ્યોતિર્લંગ શ્રી સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી પર મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચે છે. 


ત્યારે બુધવાર ના રોજ પ્રણાલિકા અનુસાર વૈશાખ માસની માસિક શિવરાત્રિ પર શ્રી સોમનાથ મંદિર સમીપનયજ્ઞશાળામાં ટ્રસ્ટના સચિવશ્રી યોગેન્દ્ર ભાઈ દેસાઈ સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોકત પ્રણાલિકા અનુસાર લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક તીર્થ પુરોહિતો પાસે શ્રી સોમનાથ મંદિરમાં દૈનિક 121 રુદ્રી પાઠ કરાવીને પાઠાત્મક લઘુરુદ્ર કરાવવામાં આવે છે. ત્યારે આજે વૈશાખ માસની માસિક શિવરાત્રી પર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાઠાત્મક લઘુરુદ્ર, હોમાત્મક લઘુરુદ્ર, અને સોમેશ્વર મહાપૂજા કરીને મહાદેવને વિશ્વ કલ્યાણની કામના કરવામાં આવી હતી.
સાથેજ રાત્રીના સમયે સોમનાથ ખાતે પ્રણાલિકા અનુસાર રાત્રિના પારંપરિક જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર ભાઈ દેસાઈ સાથે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા પણ જોડાયા હતા, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર તેમજ મોટી માત્રામાં ભાવિકો જોડાયા હતા. પૂજનના અંતે સચિવશ્રી દ્વારા શ્રી સોમનાથ મહાદેવને મહાપૂજા માટે સામગ્રી અર્પણ કરવામાં આવેલ.
આ વિશેષ અવસરે જુનાગઢ પોલીસ બેન્ડ દ્વારા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં બેન્ડના તમામ વાજિંત્રો સાથે સંગીત આરતી અને ધૂન વગાડીને કલા સાધના કરવામાં આવી હતી મહાદેવની ભક્તિ સાથે પોલીસ બેન્ડ દ્વારા થનાર આરતીનો અનુભવ કરી શ્રદ્ધાળુઓ આનંદિત થયા હતા.
વૈશાખ માસિક શિવરાત્રીના અવસરે રાત્રે મંદિરના પૂજારીશ્રી તેમજ તીર્થ પુરોહિતો દ્વારા મહાદેવની મહાપૂજા કર્યા બાદ મધ્ય રાત્રિએ 1200 વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી. માસિક શિવરાત્રીની મહા આરતીનો લાભ લેવા હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. “હરહર મહાદેવ, જય સોમનાથ”ના નાદ થી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.