Spread the love

ગાંધીનગર, 14 જુલાઈ, ગુજરાત ના‌ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજીના આશીર્વાદ મેળવ્યા.
શ્રી પટેલે ગાંધીનગર નજીકના કોબા ખાતેના શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં ચાતુર્માસ ગાળવા પધારેલા રાષ્ટ્રસંત જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

કોબા ખાતે આ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર જૈનાચાર્ય
શ્રીપદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પ્રેરણા અને માર્ગદર્શનમાં કાર્યરત થયેલું છે . આ જૈન તીર્થ ક્ષેત્રમાં જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજીના ચાતુર્માસ પ્રવેશ પૂર્વે તેમના વ્યાખ્યાનનું મુખ્યમંત્રીએ જૈનધર્મી શ્રાવક ભાઈઓ બહેનો સાથે બેસીને શ્રવણ પણ કર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે માનવ માત્રનું અંતિમ લક્ષ્ય તો પ્રભુ પ્રાપ્તિનું જ હોય છે. એ માટેનો માર્ગ સંત શક્તિના આશીર્વાદ અને તેમના વ્યાખ્યાન શ્રવણથી વધુ સરળ બને છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
આ અવસરે રાજ્યસભાના સાંસદ મયંક નાયક, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબહેન પટેલ તથા જૈનાચાર્યો, સંતવર્યો અને શ્રાવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.