Spread the love

ગાંધીનગર, 29 જુલાઈ, ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર તાલુકાની ૮ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેણીની હત્યા કરનાર નરાધમને ફાંસીની સજાથી માસૂમ દીકરીના પરિવારજનોને રાજ્ય સરકારે આપેલી બાહેધરી અને ગૃહમંત્રીએ આપેલું વચન પૂર્ણ થયું છે અને સાધુ સમાજની દીકરીને ન્યાય મળ્યો છે.
સરકારી સૂત્રો એ આજે જણાવ્યું કે રાજ્યમાં બાળકીઓ પર થતા દુષ્કર્મ અને હત્યા જેવા ગુનાઓ પર સદંતર અંકુશ લાવવા આવા નરાધમ તત્વો સામે ખૂબ જ ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી કડકમાં કડક સજા કરાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આવા કેસોમાં ગુજરાત પોલીસને તે પ્રકારની સઘન કાર્યવાહી કરવા આદેશો આપેલા છે.
એટલું જ નહિ, આ પ્રકારના ગંભીર અને સંવેદનશીલ કેસમાં બારીકાઈથી તપાસ હાથ ધરી તમામ આનુષંગિક વૈજ્ઞાનિક અને સાંયોગિક પુરાવાઓ એકત્ર કરી દોષિતોને ફાંસી સુધીની સજા થાય તેવું ઇન્વેસ્ટીગેશન કરવા સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે ૧૨મી જૂન ૨૦૨૨ના રોજ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની ૮ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરી તેણીની હત્યા કરી દેનાર એક નરાધમને ફાંસીની સજા થવા પામી છે. આ પ્રકારની કડક કાર્યવાહી થકી, ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો સામે રાજ્ય સરકારે આવા નરાધમોને ચેતવણીનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર તાલુકાની ૮ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને ત્યાર બાદ તેણીની હત્યાનો બનાવ બનતા આ બનાવની ગંભીરતાને આધારે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રીએ ઉચ્ચ પોલીસ અધિકારીની બનેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની રચના કરી હતી. આ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે એફએસએલની મદદ લઇ તમામ સાંયોગિક પુરાવા એકઠા કરી ૨૫ દિવસમાં તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ કરી હતી. આ કેસ નામદર કોર્ટમાં ચાલી જતા નરાધમને ફાંસીની સજા ફરમાવી છે. એટલું જ નહિ, બાળકીના પરિવારને ૧૭ લાખ વળતર ચૂકવવા આરોપીને આદેશ કર્યા છે. દુષ્કર્મ આચરનાર નરાધમને મળેલી કડક એવી ફાંસીની સજાથી માસૂમ દીકરીના પરિવારજનોને રાજ્ય સરકારે આપેલી બાહેધરી અને ગૃહમંત્રીશ્રીએ આપેલું વચન આજે પૂર્ણ થયું છે અને સાધુ સમાજની દીકરીને ન્યાય મળ્યો છે.