Spread the love

અમદાવાદ, 11 ઓગસ્ટ, ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ અંતર્ગત  વાર્તાકાર આરતી શેઠ દ્વારા એમની વાર્તા ‘એ બારી’નું પઠન કરવામાં આવ્યું હતું.
સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે શનિવારના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ૦૫૦૦ વાગ્યે ‘પાક્ષિકી’ અંતર્ગત  વાર્તાકાર આરતી શેઠ દ્વારા એમની વાર્તા  ‘એ બારી’નું પઠન કરવામાં આવ્યું હતું.
વર્તનાયકના મુખે કહેવાયેલી આ વાર્તાની શરૂઆત આ રીતે થાય છે. ધબકતાં હ્રદયે મેં પાર્ટીમાં પ્રવેશ કર્યો. એ મારી સામે જ ઊભી હતી. તેના પ્રત્યે આકર્ષિત થતાં હું મારી જાતને રોકી શક્યો નહીં. પલક દીદી ના લગ્નની સંગીત પાર્ટીમાં મેં એને મારા તરફ આકર્ષવા ની કોશિશ કરી પરંતુ એ માછલીની જેમ સરકી જતી. ડાન્સફ્લોર પર નાચી રહેલી એને જોવા અને એની નજીક જવા હું  કોશિશ કર્યા કરતો.
પાર્ટીમાંથી જરા વિરામ લઈ એણે પોતાનો મોબાઈલ ફોન લીધો. મેં એને મેસેજ મોકલ્યો પરંતુ એણે મારા મેસેજની અવગણના કરી. એ અન્ય કોઈને લાંબો લાંબો મેસેજ લખતી રહી. 
પછી એક દિવસ એને સામેના ફ્લેટમાં મેં જોઈ હતી. એનાં લગ્ન થઈ ગયા હતાં. પછી તો રોજ ખૂલતી એ બારી જોવાનું મને વ્યસન થઈ ગયું. રોજ ખૂલતી એ બારી ધીરે ધીરે મોડી ખૂલવા લાગી. દિવસો સુધી બંધ રહેવા લાગી. એક દિવસ મેં એને દીકરાને બારીએ રમાડતો જોઈ. આજે એ બારી મને ખુશખુશાલ લાગી રહી હતી. અમારી મુલાકાત તો થઈ ન હતી પણ એને વિશે સોસાયટીમાં ચાલતી ગોસિપ હું સાંભળતો રહેતો. એણે ડિવોર્સ લીધા હતા. એ માટે ધૂમ પૈસા લીધા હતા.પાર્ટીમાં ધૂમ ખર્ચો કર્યો હતો. એક દિવસ પાર્ટીમાં ફરી અમે મળી ગયા. મારી પત્ની મને ડાન્સ ફ્લોર ઉપર ખેંચી રહી હતી. મારું મન એનામાં હતું.પણ હવે એ જાણે નિષ્ક્રિય લાગતી હતી.
એક દિવસ એવા સમાચાર મળ્યા કે એના કિશોરવયના દીકરાએ આત્મહત્યા કરી હતી. એ બારીમાંથી અનંત તરફ તાકી રહી હતી. પછી એ બારીના મનોભાવ એકદમ નિર્જીવ નિર્જીવ લાગતા હતા. ઘણા દિવસો પછી મારા દીકરાએ મને ડાન્સફ્લોર પર ડાન્સ કરવા માટે મને ખેંચ્યો. પરંતુ એ ત્યાં દેખાતી ન હતી.
એક દિવસ એ બારી ફરી ખૂલી. એણે મને જોયો. મને નીચે આવવા કહ્યું. નીચે ગયો તો એણે મારા હાથમાં એક ડાયરી  પકડાવી દીધી અને જતી રહી કાયમ માટે. હજુ એ ડાયરી મારી પાસે અકબંધ પડી છે. મેં એને ખોલી નથી.
વાર્તાનાયક અને નાયિકા વચ્ચેની વાર્તા આ રીતે પૂરી થાય છે. આ કાર્યશાળામાં પ્રફુલ્લભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતમાં દીનાબેન પંડ્યા, મનહર ઓઝા, ચેતન શુક્લ, ચિરાગ ઠક્કર, ડો. હર્ષદ લશ્કરી, નિર્મળા મેકવાન, સંતોષ કરોડે, મુકુલ દવે, ઝાહિદ દોઢિયા, અશોક નાયક, હિમાલી મજમુદાર , સલિલ મહેતા, જિગીષા પાઠક, ઉર્વશી શાહ, હેત માધુ, ચિંતન માધુ, શિલ્પા શાહ , અલ્કા શાહ, ઉમંગ નકુમ , ઉષા નકુમ તેમજ અન્ય હાજર સહ્યદય સુજ્ઞ ભાવકો દ્વારા સંવાદ રસપૂર્ણ બની રહ્યો હતો. પાક્ષિકી કાર્યશાળાનું સંચાલન જયંત ડાંગોદરાએ કર્યું હતું.