Spread the love

Ahmedabad, Gujarat, Feb 14, ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા પેટ્રોલિયમ સંરક્ષણ અનુસંધાન સંઘ અને સાર્વજનિક ક્ષેત્રની ઓઇલ કંપનીઓના સંયુક્ત ઉપક્રમે આજથી ગુજરાત ના અમદાવાદમાં ઓઇલ કંપનીઓના સંયુક્ત ઉપક્રમે આજથી સંરક્ષણ ક્ષમતા મહોત્સવ – ‘સક્ષમ’નો શુભારંભ થયો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, પેટ્રોલિયમ પેદાશો અને ગેસનો ઉપયોગ ઓછો કરવા ઈંધણ અને ઊર્જાની બચત કરવા પ્રત્યેક વ્યક્તિએ પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવવું પડશે. પોતાની આદતો અને વિચારો બદલવા પડશે. હૃદયમાં દેશભક્તિનો ભાવ જાગશે તો જ પરિણામ મળશે.
ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા પેટ્રોલિયમ સંરક્ષણ અનુસંધાન સંઘ અને સાર્વજનિક ક્ષેત્રની ઓઇલ કંપનીઓના સંયુક્ત ઉપક્રમે આજથી સંરક્ષણ ક્ષમતા મહોત્સવ – ‘સક્ષમ’નો શુભારંભ થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે અમદાવાદમાં ‘તેલ અને ગેસ સંરક્ષણ પખવાડા’ની ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો. તેલ અને ગેસ સરક્ષણ પખવાડિયામાં “હરિત અને સ્વચ્છ ઊર્જા અપનાવીએ, પર્યાવરણને સ્વચ્છ બનાવીએ” એવા સૂત્ર સાથે આગામી 15 દિવસ સુધી ગુજરાતભરમાં જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાશે.
અમદાવાદમાં આઈ.સી.એ.આઈ. ભવન ખાતે ‘સક્ષમ’ નો શુભારંભ કરાવતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, આપણે નાગરિકો આપણા અધિકારો માટે જેટલા સજાગ છીએ એટલા જ આપણા કર્તવ્ય અને જવાબદારી પ્રત્યે જાગૃત થવાની જરૂર છે. વર્ષ 2023-24 માં ભારતમાં પેટ્રોલ-ડીઝલ સહિત પેટ્રોલિયમ પેદાશોનો કુલ વપરાશ 234 મિલિયન મેટ્રિક ટન હતો, તેમાંથી માત્ર 12.2% જ તેલ-ગેસ માટે ભારત આત્મનિર્ભર છે. બાકીના 88% ઈંધણની આપણે આયાત કરવી પડે છે. જેના માટે ભારત સરકારે 156 મિલિયન ડોલર જેટલો જંગી ખર્ચ કરવો પડે છે. આપણો વ્યક્તિગત વપરાશ પણ ગંભીર રીતે વધી રહ્યો છે. એક તરફ ભારતનો આર્થિક બોજ વધી રહ્યો છે અને બીજી તરફ પર્યાવરણને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે આપણે સમયસર ચેતી જવાની જરૂર છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતએ કહ્યું કે આપણામાં દેશભક્તિનું ઝનૂન હશે તો જ ઈંધણ અને ઊર્જાની બચત માટેનું વાતાવરણ બનશે. તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિએ પોતાની જાતથી જ પહેલ કરવાની આવશ્યકતા છે. ગ્લોબલ વૉર્મિંગના દુષ્પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ. શુદ્ધ હવા, પાણી અને અનાજ દુષ્કર થઈ રહ્યા છે. પરિણામે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટી રહી છે. તેલ-ગેસનો વપરાશ ઓછો કરવા તેલ-ગેસ સંરક્ષણ પખવાડાની ઉજવણી અને સંરક્ષણ ક્ષમતા મહોત્સવ જેવા અભિયાનોને જન આંદોલન બનાવવાની જરૂર છે. આ પવિત્ર મિશનમાં સહુ કોઈ પ્રમાણિકતાથી પહેલ કરે તો જ પરિણામ મળશે એમ તેમણે કહ્યું હતું.
કાર્યક્રમમાં ગેસ ઑથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ-ગેલ ઇન્ડિયાના ઝોનલ જનરલ મેનેજર અનંત ખોબરાગડે એ જણાવ્યું હતું કે, મેઇક ઈન ઇન્ડિયા હેઠળ રાષ્ટ્રવ્યાપી પ્રયાવરણ પ્રત્યેની ચિંતા, સ્થાનિક કુદરતી ગેસ ઉત્પાદનમાં પુન પ્રાપ્તિ થકી આત્મનિર્ભર ભારત માટે પહેલ કરાઈ છે. તેમણે જણાવ્યું હતું કે, એક રાષ્ટ્ર,એક ગ્રીડ અને એક ટેરિફના મિશન સાથે આપણે આગળ ધપી રહ્યા છીએ જેનાથી ગ્રાહકોને વિશેષ ફાયદો થનાર છે.
અત્રે ઉલ્લેખનીય છેકે વર્ષ ૧૯૯૧ થી નાગરિકોમાં હરિત ઉર્જા સંદર્ભે જાગૃતિ આવે તે હેતુથી પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાયલના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રવ્યાપી ઇંધણ સંરક્ષણની પહેલ કરવામાં આવી છે. કાર્યક્રમમાં ગ્રીન એનર્જી સંદર્ભે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું જેમાં ભારતની વિકાસગાથામાં ઊર્જા ક્ષેત્રના વિસ્તૃત અવકાશ પર ભાર મૂક્યો હતો.
કાર્યક્રમમાં સંરક્ષણ ક્ષમતા મહોત્સવ સંદર્ભે ભવિષ્યના રાષ્ટ્ર નિર્માણ માટે પેટ્રોલિયમ પેદાશોના બચત થકી આદર્શ નાગરિક બનવા સૌએ પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના ગુજરાતના મુખ્ય મહાપ્રબંધક સંજય ભંડારી, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ક્ષેત્રિય પ્રમુખ શુભેન્દુ મોહંતી, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના મહા પ્રબંધક સુમિત મોહન અને આગેવાનો તથા નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *