Spread the love

અમદાવાદ/ દુબઈ, Mar 17, ‘રાજાધિરાજ – લવ.લાઈફ. લીલા’ ના ગ્રાન્ડ ફિનાલે શોમાં હિઝ હાઈનેસ શેખ નહ્યાન બિન મુબારક અલ નહ્યાને હાજરી આપી.
આધિકારિક સૂત્રોએ આજે અહીં જણાવ્યું કે સંયુક્ત આરબ અમિરાત (યુ.એ.ઇ.)ના સહિષ્ણુતા અને સહઅસ્તિત્વ મંત્રી, હિઝ હાઈનેસ શેખ નહ્યાન બિન મુબારક અલ નહ્યાને 16 માર્ચે દુબઈ ઓપેરા ખાતે ધનરાજ નથવાણી દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા ‘શ્રી કૃષ્ણ’ પર આધારીત વિશ્વના પ્રથમ મેગા મ્યુઝિકલ ‘રાજાધિરાજ – લવ.લાઈફ.લીલા’ ના ગ્રાન્ડ ફિનાલે શોમાં હાજરી આપી હતી. તેમણે ઉદ્દબોધનનો પ્રારંભ આ અનન્ય મ્યુઝિકલની પ્રશંસા સાથે કર્યો હતો. “આ સાંજ અહીં તમારી સાથે ગાળવી એ આનંદદાયક છે. આજે અને છેલ્લા કેટલાક દિવસોથી, દુબઈ અને યુએઈના લોકોને શ્રી કૃષ્ણ પર આધારિત વિશ્વના પ્રથમ મેગા મ્યુઝિકલના અસાધારણ પ્રદર્શનનું અવલોકન કરવાની વિશિષ્ટ તક મળી છે.”
તેમણે આગળ જણાવ્યું હતું કે, “હું આ ભવ્ય ઇવેન્ટને આયોજન કરનાર દરેકને અભિનંદન પાઠવવા માંગુ છું. ખાસ કરીને, હું આજે અહીં ઉપસ્થિત તમામ કલાકારો અને પ્રોડક્શન ટીમના સભ્યોનું હાર્દિક સ્વાગત કરું છું. હું તમારી મૌલિકતા, સર્જનાત્મકતા અને જીવન તથા કળા પ્રત્યેના તમારા પ્રેમની પ્રશંસા કરું છું. ભગવાન શ્રી કૃષ્ણનું વિશ્વ પ્રેમ, કરુણા, રક્ષણ, ભ્રાતૃત્વ, શાંતિ અને સુમેળથી ભરેલું છે. આ ભવ્ય મ્યુઝિકલ દ્વારા તમે આ સંદેશને યુ.એ.ઈ. સુધી પહોંચાડીને સાબિત કર્યું છે કે અમારો દેશ આ વૈશ્વિક મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ છે, જે આપણા બધા જ મનુષ્યોમાં સામાન્ય છે.”
તેમણે વધુમાં જણાવ્યં હતું કે યુ.એ.ઈ.ના રાષ્ટ્રપતિ, હિઝ હાઈનેસ શેખ મોહમદ બિન ઝાયેદ અલ નહ્યાન માનવ મૂલ્યોના પ્રચાર અને અહીંયા રહેનારા તમામ લોકોના માનવ અધિકારોનું સન્માન કરવા તેમજ તેમને ગરીમા પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. “તેમણે તમામ દેશોને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્થિરતા, સુરક્ષા અને શાંતિ તેમજ વિશ્વના લોકો માટે વિકાસ તથા સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે જણાવ્યું છે. વધુમાં તમે ભારતની સંસ્કૃતિ અને કળાના ક્ષેત્રની પ્રભાવશાળી સિધ્ધિઓનું પ્રદર્શન કર્યું છે, જે તમારા સમૃધ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે. તમે ભારત અને સંયુક્ત આરબ અમિરાત વચ્ચના મજબૂત અને મૈત્રીપૂર્ણ સંબંધો અંગેના આપણાં સંયુક્ત ગર્વ અને સંતોષની અભિવ્યક્તિ કરી છે. સાથે મળીને આપણે વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ કે ભારત અને સંયુક્ત આરબ અમિરાત વચ્ચે પૂરવાર થયેલી મૈત્રી વધારે મજબૂત બનશે. આપણે વધુ સારા અને વધારે શાંતિપૂર્ણ વિશ્વ તરફની શોધમાં સાથે મળીને આગળ વધીશું.”
ધનરાજ નથવાણી દ્વારા સંકલ્પના કરાયેલી અને મૂર્તિમંત સ્વરૂપ અપાયેલી રાજાધિરાજ ભારતની સૌપ્રથમ બ્રોડવે-શૈલીની સંગીત મહાનાટિકા છે, જેણે ભારતીય રંગમંચના સ્વરૂપમાં આમૂલ પરિવર્તન લાવી તેને ભવ્યાતિભવ્ય બનાવ્યું છે. મુંબઈ અને દિલ્હીમાં સફળતા મેળવ્યા બાદ, દુબઇમાં પણ આ શોને અપાર પ્રતિસાદ મળ્યો છે. આઇકોનિક દુબઈ ઓપેરામાં ભારતીય પુરાણકથાનો સમૃધ્ધ વારસો ધરાવતા યોજવામાં આવેલા છ શો ને અદ્દભૂત પ્રતિસાદ સાંપડ્યો હતો. 245 કલાકાર-કસબીઓના કાફલાનું તમામ શોમાં હાઉસફૂલ ઓડિયન્સ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ સંગીત મહાનાટિકાનું નિર્માણ ભવ્યાતિભવ્ય સ્તરે કરાયું છે, જેમાં 20 મૌલિક ગીતો, 180થી વધુ કલાકારો અને 60થી વધુ નર્તકો સામેલ છે. આ પ્રસ્તુતિમાં ઉડીને આંખે વળગે તેવી પ્રોડક્શન ડિઝાઈન, મંત્રમુગ્ધ કરી દેનારી કોરિયોગ્રાફી, અને 1,800 ખાસ તૈયાર કરાયેલી ઉચ્ચકોટિની વેશભૂષા સહિતની દરેક વિશેષતાઓ રસતરબોળ કરી દેનારી અનુભૂતિનું સર્જન કરે છે.
આ ગેમ-ચેન્જર પ્રોડક્શન શ્રી કૃષ્ણના મહિમા અને ભવ્યતા તેમજ ભગવાન શ્રીનાથજીની યાત્રાનું એક અપ્રતિમ ચિત્રણ રજૂ કરે છે જે એક ચમકતા નાટ્ય પ્રદર્શન અને જીવંત ગાયન દ્વારા રજૂ થાય છે. આ પ્રોડક્શનમાં 20 મૌલિક ગીતો, 180 થી વધુ કલાકારો અને 60 થી વધુ નર્તકોનો સમાવેશ થાય છે. શોની જટિલ પ્રોડક્શન ડિઝાઇન, મંત્રમુગ્ધ કરનારી કોરિયોગ્રાફી અને 1,800 કસ્ટમ-મેડ કોસ્ચ્યુમ એકસાથે મળીને એક રસતરબોળ કરતો અનુભવ બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *