Ahmedabad, Gujarat, Apr 15, ગુજરાત ના અમદાવાદમાં વિશિષ્ટ પ્રતિભા બ્ર.કુ.નંદીનીબેને “આધ્યાત્મિક અને ધાર્મિક પત્રકારત્વ” પર સંશોધન કરી પીએચ.ડી. ( ડોક્ટર ઑફ ફિલોસોફી)ની પદવી મેળવી.
ગાંધીનગર બ્રહ્માકુમારીજ ના ભરતભાઈએ આજે જણાવ્યું કે બ્રહ્માકુમારી સંસ્થાના પહલા સમર્પિત બ્રહ્માકુમારી બહેન અમદાવાદના બ્રહ્માકુમારીઝના ઝોનલ મુખ્યાલય સુખ શાંતિ ભવનના રાજયોગી બ્રહ્માકુમારી નંદિની બહેને તાજેતરમાં જ પત્રકારત્વમાં પીએચ.ડી. પૂર્ણ કરી (ડોક્ટર ઓફ ફિલોસોફી) ની ડિગ્રી મેળવી છે.
બ્રહ્માકુમારી નંદિની બહેને “આધ્યાત્મિક અને ધાર્મિક પત્રકારત્વ દ્વારા સમાજમાં મૂલ્યોનું સંવર્ધન” વિષય પર સંશોધન કાર્ય પૂર્ણ કરી એક થીસીસ તૈયાર કરી છે. અમદાવાદ સ્થિત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશન વિભાગમાંથી ૭૧.૫% ગુણ સાથે આ ભારતની એક નવી શોધ કરેલ છે.
રાષ્ટ્રીય ભાષામાં “આધ્યાત્મિક અને ધાર્મિક પત્રકારત્વ” વિષય પર ખૂબ જ ઊંડાણપૂર્વક, ખૂબ જ ચોકસાઈ સાથે, ખૂબ જ વિગતવાર અને સંપૂર્ણપણે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને સંશોધન કરનાર બ્ર.કુ. ડૉ. નંદિની બહેનને ભારતના સૌ પ્રથમ મહિલા સંશોધક બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલ છે.
સમગ્ર પત્રકારત્વના ક્ષેત્રમાં “આધ્યાત્મિક અને ધાર્મિક પત્રકારત્વ” જેવા નવા વિષય અને નવી વિધા ઉપર કામ કરી સંશોધન કરનાર તેઓ ગુજરાતના પ્રથમ સંશોધક બન્યા છે. આ નવીન વિષયમાં સર્વ પ્રથમ તેમની થીસીસ (શોધગ્રંથ) તૈયાર થયેલ છે.આ સંશોધનની ખૂબી એ છે કે, તેમાં ફક્ત ૩% સમાનતા સૂચકાંક છે.
ભારત સરકારના શિક્ષણ મંત્રાલય, નવી દિલ્લીની વેબસાઇટ INFLIBNET (શોધગંગા) પર આ થીસીસ અને સંશોધન સારાંશ ઓનલાઇન ઉપલબ્ધ છે.
ફક્ત પત્રકારત્વના ક્ષેત્રમાં નવી પદ્ધતિઓ અને નવા વિષયો પર સંશોધન કાર્ય કરનારા તેઓ બ્રહ્માકુમારી સંસ્થાના પ્રથમ સમર્પિત બ્રહ્માકુમારી બહેન છે.
“આધ્યાત્મિક અને ધાર્મિક પત્રકારત્વ દ્વારા સમાજમાં મૂલ્યોનું સંવર્ધન : એક અભ્યાસ” વિષય પર માર્ગદર્શક ડૉ. વિનોદ કુમાર પાંડેયના માર્ગદર્શન હેઠળ સંશોધન કાર્ય પૂર્ણ કરીને એક સંશોધન નિબંધ તૈયાર કરવામાં આવ્યો છે. સાથે સાથે, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદભાઈ પટેલની શુભેચ્છાઓને કારણે આ સંશોધન કાર્ય સવિશેષ પણ બન્યું. પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશન વિભાગના અધ્યક્ષ અને ડીન ડૉ. અશ્વિન કુમાર અને ડૉ. પ્રો.પુનિતા હર્નેનો પણ આ સંશોધન કાર્યમાં ખાસ સાથ સહકાર રહ્યો.
ઈશ્વરીય તથા લૌકિક પરિવારનું સતત સાથ, સહકાર, સહયોગ અને સમર્થનની સાથે સાથે સૌની શુભભાવના અને શુભકામનાઓ થકી આ સંશોધન સફળતાપૂર્વક સહજતાથી પૂર્ણ થયું.
બ્રહ્માકુમારી નંદિની બહેનને મૂલ્ય આધારિત પત્રકારત્વમાં ખાસ રુચિ હોવાથી, વિવિધ મૂલ્યો આધારિત લેખો ઓનલાઇન અને ઓફલાઇન પ્રકાશિત થયા છે. ફોટો જર્નાલિઝમ પણ તેમનો ખાસ રસનો વિષય રહ્યો છે.
અલબત્ત નંદિની બેનના પિતા હર્ષદભાઈ દ્વિવેદીને પણ બેસ્ટ આર્કિટેક્ટ એવોર્ડના વિજેતાનું બહુમાન પ્રાપ્ત છે. જ્યારે માતા હેમલતાબેન ગુજરાત વિદ્યાપીઠમાંથી એમ.એડ.ની ડિગ્રીમાં સર્વોત્તમ ગુણ સાથે પ્રથમ ક્રમાંક પર રહી ચૂકેલ છે. અને તેમના નાના બહેન ડો. પાયલ દ્વિવેદીને પણ આધ્યાત્મિકતા પર સંશોધન કરી ડોક્ટરેટની ઉપાધિ મેળવેલ છે. ત્યારે એ કહેવત યાદ આવે છે કે, મોરના ઇંડાને ચીતરવા ના પડે….
જેમના નામથી સેકટર.૨૧,ગાંધીનગર ખાતે શરૂ થયેલ નંદિની ફોટો સ્ટુડિયો આજે દૂર દૂર સુધી ખ્યાતિ પ્રાપ્ત કરી રહ્યો છે.અત્રે ગૌરવ સાથે સૌ ગાંધીનગર વાસીઓ તરફથી નંદીનીબેનને દિલથી ખૂબ ખૂબ વધાઈ હો, અભિનંદન હો. અભિવાદન હો.
