~આ દુર્ઘટનાની બચાવ-રાહતમાં કેન્દ્ર સરકારની એજન્સીઓ અને રાજ્ય સરકારના પોલીસ, આરોગ્ય, ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રના સંકલન અને ત્વરિત કામગીરીની સરાહના
Ahmedabad, Gujarat, Jun 12, એર ઇન્ડિયાના અમદાવાદથી લંડન જતાં વિમાનની સર્જાયેલી કમનસીબ દુર્ઘટના સંદર્ભે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સમગ્ર ઘટનાની તલસ્પર્શી માહિતી મેળવી હતી.
આ બેઠકમાં શ્રી શાહએ રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, કેન્દ્રીય મંત્રી કિંજરાપુ રામમોહન નાયડૂ, કેન્દ્રીય રાજ્ય મંત્રી મુરલીધર મોહોલ પણ આ બેઠકમાં જોડાયા હતા.
કેન્દ્રીય ગૃમંત્રી ને આ બેઠકમાં નાગરિક ઉડ્ડયન વિભાગ, DGCA, આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર અને રાહત કમિશનર દ્વારા સમગ્ર વિમાન દુર્ઘટનાનો ઘટનાક્રમ, રાહત-બચાવ કામગીરી, આરોગ્યલક્ષી સેવાઓ સહિતની સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને દુઃખદ ગણાવીને કેન્દ્રીય મંત્રી શ્રી શાહે પીડિત પરિવારોને સરકાર તરફથી જરૂરી તમામ સહાય પૂરી પાડવા માટે આદેશો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ઈજાગ્રસ્તોને ઝડપી સારવાર મળે, મૃતક અને પરિવારજનોના DNA સેમ્પલ કલેક્શન, મૃતકની ઓળખથી લઈને પાર્થિવ દેહને તેમના ઘર સુધી સુરક્ષિત પહોંચાડવા સુધીના દરેક તબક્કે જરૂરી મદદ સરકાર તરફથી પૂરી પાડવામાં આવશે.
મૃતકોની ઓળખ થઈ શકે તે માટે DNA મેચ કરવાની કામગીરીને વધુ સુદ્રઢ અને બનાવવા તેમજ ઘટનાની સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઘટના સ્થળને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવા માટે શ્રી અમિત શાહે સંબંધિત અધિકારીશ્રીઓને આદેશ આપ્યા હતા. દુર્ઘટનાનો સત્તાવાર મૃત્યુઆંક પરીક્ષણ પછી જ જાહેર થઈ શકશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી એ કહ્યું કે, તેમણે અકસ્માત સ્થળની પણ મુલાકાત લઈને સમીક્ષા કરી છે. બધા મુસાફરોના મૃતદેહ બહાર કાઢવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. જે લોકો વિદેશમાં છે તેમના સંબંધીઓને જાણ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને તેઓ પહોંચતાની સાથે જ તેમના DNA નમૂના પણ લેવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં જ લગભગ 1000 DNA પરીક્ષણો કરાવવા પડશે. આ બધા પરીક્ષણો કરવા માટેની ક્ષમતા ગુજરાતમાં હોવાથી ડીએનએ પરીક્ષણ માટે ગુજરાતની બહાર ક્યાંય જવાની જરૂર રહેશે નહીં. રાજ્યની એફએસએલ અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે મળીને શક્ય તેટલા ઓછા સમયમાં ડીએનએ પરીક્ષણ પૂર્ણ કરશે અને મૃતદેહ પરિવારના સભ્યોને સોંપશે.
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં જે યાત્રીઓ ઘાયલ થયા છે અને સારવારગ્રસ્ત છે તેમની ખબર અંતર તેમણે હોસ્પિટલમાં જઈને પૂછી હતી. એટલું જ નહિ, મૃત્યુ પામેલા મુસાફરો અને હતભાગીઓ પ્રત્યે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને સમગ્ર દેશ સંવેદના વ્યક્ત કરીને શોકગ્રસ્ત પરિવારોની પડખે ઊભો છે તેમ પણ તેમણે કહ્યું હતું.
રાજ્ય સરકારે દુર્ઘટનાની જાણ થતાવેંત ત્વરિત હાથ ધરેલી રાહત-બચાવની કામગીરી સંદર્ભે આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, DNA કામગીરી માટે ૪૫ ડોક્ટરની ટીમ, SDRFની બે ટીમ, NDRF-૨ ટીમ રાહત બચાવ કામગીરીમાં ૮૫ ફાયર ફાઈટર અને AMCની પૂરી ટીમ તથા ૭૫થી વધુ એમ્બ્યુલન્સને કામગીરીમાં જોડવામાં આવી હતી. ઘાયલ અને મૃતકોને તાત્કાલિક સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો.
એટલું જ નહિ, રાજ્ય સરકારે સ્ટેટ ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરીને હેલ્પલાઈન નંબરો સહિત અન્ય અલગ અલગ ૭ હેલ્પલાઈન નંબર જાહેર કર્યાં છે.
આ સંદર્ભમાં શ્રી અમિત શાહે બચાવ-રાહતમાં કેન્દ્ર સરકારની એજન્સીઓ અને રાજ્ય સરકારના પોલીસ, આરોગ્ય, ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રના સંકલન અને ત્વરિત કામગીરીની સરાહના કરી હતી.
આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, નાગરિક ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપૂત, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ જોષી, ગૃહ વિભાગના અને મુખ્યમંત્રી ના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
