Ahmedabad, Gujarat, Jun 16, ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સન્માનપૂર્વક તેમના પરિજનોને આજે સોંપવામાં આવ્યો.
શ્રી રૂપાણીના નશ્વર દેહને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન અપાયું.
રાજ્ય ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આજ રોજ દિવંગત નેતાના પાર્થિવ દેહને રાજ્ય સરકારી માનદંડ અનુસાર ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યો હતો.
પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તેમનાં ધર્મપત્ની અને પુત્ર સહિતના પરિવારજનોને સંપૂર્ણ સન્માન સાથે સોંપવામાં આવ્યો. સમગ્ર પ્રક્રિયા રાજ્યના પ્રોટોકોલ અનુસાર અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી.
રાજ્ય સરકારે તેમના યુગદર્શી નેતૃત્વ, જાહેર જીવનમાં નૈતિકતા અને કરુણા, લોકહિતનાં કાર્યોને સ્મરણ કરી, તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, રાજ્યસભા સાંસદ મયંક નાયક સહિત રાજકીય આગેવાનો, ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ અનેક સંસ્થાઓ -સમુદાયોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.
અમદાવાદમાં ૧૨ જૂનના રોજ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થતાં રાજ્ય શોકાતુર બન્યું હતું. તેમની અંતિમ યાત્રા રાજકોટ ખાતે યોજાનાર છે.
