પોસ્ટેડ ઓન: 03 JUN 2025 10:11AM by PIB Ahmedabad, Gujarat, Jun 03, કચ્છીઓની માંગ અને ‘કચ્છી’ ભાષાના વ્યાપને ધ્યાનમાં રાખીને આકાશવાણી ભુજના સમાચાર વિભાગ (RNU) દ્વારા એક નવી પહેલરૂપે આજે તા. 03 જૂનથી કચ્છી ભાષામાં “કચ્છ જા વાવડ” નામનો નવો સાપ્તાહિક કાર્યક્રમ શરૂ થઇ રહ્યો છે.
દેશના પશ્ચિમ ભાગમાં આવેલો સરહદી જિલ્લો કચ્છ તેની વિશિષ્ઠ ભૌગોલિક પરિસ્થિતિ અને ભાતીગળ સંસ્કૃતિ ઉપરાંત અનોખી ભાષા માટે પણ જાણીતો છે. કચ્છ ઉપરાંત, ભારતના વિવિધ રાજ્યોમાં રહેતા કચ્છીઓ તેમજ આફ્રિકાના વિવિધ દેશો, મધ્ય પૂર્વ એશિયાના દેશો તથા બ્રિટન, અમેરિકા, જેવા દેશોના ઘણા શહેરોમાં વસવાટ કરતાં કચ્છી સમુદાય દ્વારા કચ્છી ભાષા બોલવામાં આવે છે.
કચ્છીઓની માંગ અને ‘કચ્છી’ ભાષાના વ્યાપને ધ્યાનમાં રાખીને આકાશવાણી ભુજના સમાચાર વિભાગ (RNU) દ્વારા એક નવી પહેલરૂપે આજે તા. 03 જૂનથી કચ્છી ભાષામાં “કચ્છ જા વાવડ” નામનો નવો સાપ્તાહિક કાર્યક્રમ શરૂ થઇ રહ્યો છે. દર મંગળવારે સાંજે 05:45 વાગ્યે પ્રસારિત થનારા આ કાર્યક્રમમાં સપ્તાહભરના કચ્છના મહત્વના સમાચાર કચ્છી ભાષામાં રજૂ કરવામાં આવશે.
RNU ભુજના વડા ડૉ. ચિરાગ ભોરણીયાએ આ પ્રસંગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, દેશના આ મહત્વપૂર્ણ સરહદી જિલ્લાની વિશાળતા અને વિશિષ્ટ પરંપરાગત ઓળખને ધ્યાનમાં રાખીને, આ કાર્યક્રમ કચ્છની સમૃદ્ધ સંસ્કૃતિ, કલા અને ઇતિહાસને પ્રદર્શિત કરશે તેમજ કચ્છી ભાષાને પ્રોત્સાહન આપશે. જયારે આકાશવાણી ભુજના કાર્યક્રમ વિભાગના વડા શ્રી જયેશ રાવલે આ કચ્છી કાર્યક્રમને આકાશવાણી ભુજની યશકલગીમાં વધુ એક પીંછા સમાન ગણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, RNU ભુજ હાલમાં ગુજરાતીમાં વિવિધ દૈનિક સમાચાર બુલેટિન, હેડલાઇન્સ, સમાચાર સમીક્ષા- ‘પ્રાસંગિક’ તેમજ સાપ્તાહિક ન્યુઝ રીલ કાર્યક્રમ ‘સમાચાર દર્પણ’નું પ્રસારણ કરે છે. આ ઉપરાંત, દર મહિનાના છેલ્લા રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ પર આધારિત કચ્છી બુલેટિન પણ રજૂ કરવામાં આવે છે. હવે આજથી કચ્છીમાં આ નવા સાપ્તાહિક કાર્યક્રમની શરૂઆત થવાથી શ્રોતાઓનો મોટો સમૂહ રેડિયો અને સોશિયલ મીડિયાના માધ્યમથી આકાશવાણી સાથે જોડાશે.