~કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં વિવિધ રીતે યોગદાન આપનાર સંસ્થાઓ અને વ્યક્તિઓને મંત્રીશ્રી ઋષિકેશ પટેલના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા
~કન્સ્ટ્રક્શન કે અન્ય ક્ષેત્રમાં સમાજના દરેક વર્ગના લોકો એક સાથે જોડાય તો ભારત @2047ના નિર્માણને વેગ મળશે:- મંત્રી ઋષિકેશ પટેલ
Ahmedabad, Gujarat, Jun 07, ગુજરાતમાં અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત અર્થકોન- 2025માં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, તબીબી શિક્ષણ, કાયદો, ન્યાય અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગુજરાત નિર્માણ સન્માન એવોર્ડ-2025નો સન્માન સમારોહ યોજાયો હતો.
બિલ્ડર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા (BAI)ના ગુજરાત સેન્ટર દ્વારા આયોજિત ગુજરાત નિર્માણ એવોર્ડ 2025ના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યું હતું કે, દેશના જીડીપીમાં પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરની અંદર સૌથી વધુ રોજગારી આપતું જો કોઈ ક્ષેત્ર હોય તો તે કન્સ્ટ્રક્શન સેકટર છે. આ સેક્ટર સમયની માંગ સાથે તાલથી તાલ મિલાવીને આગળ વધી રહ્યું છે. હવેનો સમય ભારતને નવી અને હાઈટેક ટેક્નોલોજીથી સજ્જ બનાવવાનો છે. ભારત @2047ના નિર્માણના દરેક તબક્કે સૌ કોઈની ભાગીદારીની જરૂર પડશે. જેમ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકાર થકી લોકોને ઘર મળી રહે છે, તે જ રીતે સરકાર અને સમાજના સહયોગથી આપણો દેશ આગળ વધશે. દેશના દરેક વર્ગના લોકો દુનિયામાં થઈ રહેલા ઇનોવેશનના માધ્યમથી ભારત દેશને જોડી પોતાની ભાગીદારી આપી શકે તેવા પ્રયત્નો થવા જોઈએ. નવા ઇનોવેશન, નવી ટેકનોલોજી, હાઈટેક સાધનો વગેરેના ઉપયોગથી દેશમાં અટલ ટનલ, ચિનાબ બ્રિજ જેવા કન્સ્ટ્રક્શન થઈ રહ્યા છે ત્યારે આપણો દેશ વિકાસના રસ્તે હજુ પણ આગળ જાય તે માટેના પ્રયત્નો કરવા જોઈએ. બિલ્ડર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા થકી ભારત દુનિયાના વિઝનનો લાભ લઈ શકે અને આપણો દેશ પ્રગતિ કરે તે માટેના પ્રયત્નો કરવા જોઈએ. શાળા, આરોગ્ય, મકાન, પાણી જેવા વિષયોમાં સૌએ પોતાની ભાગીદારી આપવી જોઈએ. સમાજના દરેક વર્ગના લોકો ભારત નિર્માણમાં જોડાય તો ભારત @2047ને વેગ મળશે.
મંત્રીના હસ્તે ગુજરાત નિર્માણ એવોર્ડ કાર્યક્રમમાં અર્બન કન્સ્ટ્રક્શન, રૂરલ કન્સ્ટ્રક્શન, કોમર્શિયલ બિઝનેસ બિલ્ડર્સ, ઇન્સ્ટિટ્યૂશનલ કેમ્પસ બિલ્ડર્સ, ગવર્મેન્ટ સેક્ટરમાં પબ્લિક અને પ્રાઈવેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડીંગ, ગવર્મેન્ટ અને સેમી ગવર્મેન્ટ ક્ષેત્રમાં કમ્યુનિટી કન્સ્ટ્રક્શન, ઇન્સ્ટિટ્યૂશનલ એવોર્ડ, ગવર્મેન્ટ અને સેમી ગવર્મેન્ટ ક્ષેત્રમાં સિવિક સ્પેસ કન્સ્ટ્રક્શન અને અંતે લાઈફ ટાઈમ લેગસી એવોર્ડ આપવામાં આવ્યા હતા.
બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ગુજરાત સેન્ટરના સ્ટેટ ચેરમેન કેવલ પરીખે સમારોહમાં ઉપસ્થિત સૌનુ સ્વાગ્ત કરીને જણાવ્યું હતું કે લગભગ ૭૮ વર્ષ પહેલા આ બોડીની સ્થાપના થઇ હતી જે આઝાદી પહેલાનુ આ અસોસીએશન છે જે આજે પણ કાર્યરત છે અને આજની તારીખે દોઢ લાખથી વધુ કન્સ્ટ્રકશન કંપનીઓ સભ્ય છે અને આખા ભારતમાં ૨૩૦ સેન્ટરો કાર્યરત છે. અમારુ અસોસીએશન રેગ્યુલર એકઝીબીશન કરે છે.જેનાથી કન્સ્ટ્રકશન ઇન્ડસ્ટ્રીમાં નવી દીશા મળે છે. ઇન્ડસ્ટ્રીને ઇન્ફર્મેશન ટેકનોલોજીની જાણકારી મળતી રહે છે અને દરેક કંપની સભ્ય તેનો લાભ લે છે. કોઇપણ દેશના જી.ડી.પી.માં કન્સ્ટ્રકશન સેકટરનો ઘણો મોટા ફાળો હોય છે. ભારતના જી.ડી.પી.માં કન્સ્ટ્રકશન ઇન્ડસ્ટ્રીનો ફાળો મીનીમમ ૧૦ ટકા રહેલો છે. ભારત દેશનું ડેવપલમેન્ટ થયું તેમાં અમારા સભ્યોનો સારો ફાળો રહેલો છે. છેલ્લા પાંચેક વર્ષથી ‘ગુજરાત નિર્માણ સન્માન અવોર્ડ’નું પ્લાનીંગ કરવામાં આવ્યું છે. ગુજરાતની કર્મભુમી પર જે જે ડેવલપર્સ, કોન્ટ્રાક્ટર્સ મિત્રોએ સિંહ ફાળો આપ્યો છે તે લોકોને સન્માનીત કરવા અને તેમની જે સ્કીલ છે તેને આગળ લાવીને બતાવવાનાં છે.
આ પ્રસંગે બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ગુજરાત (અમદાવાદ) સેન્ટરના ચેરમેન વરૂણ પટેલ, કન્વીનર નીતિન શાહ, સેક્રેટરી ગિરીશકુમાર શાહ, ગવર્મન્ટ અફેર્સના હોનરરી કોર્ડીનેટર હીતેશ પટેલ, ગુજરાત સરકારના ભૂતપૂર્વ ગૃહ મંત્રી રજનીકાંત પટેલ, BAIના પ્રમુખ રાજેન્દ્ર સિંહ કંબોહ, BAIના ઉપપ્રમુખ કે. ચંદ્રશેખર રાવ, BAI ના રાજ્ય અધ્યક્ષ કેવલ પરીખ, BAIના સરકારી બાબતોના સંયોજક હિતેશ પટેલ, BAIના ચેરમેન વરુણ પટેલ, અર્થકોન એક્સ્પો-2025ના ડિરેક્ટર આયુષ મહેતા અને અર્થકોન એક્સપો ૨૦૨૫ના ડાયરેકટર અમરીશ મહેતા તેમજ બાંધકામ ઉદ્યોગ ક્ષેત્રે સંકળાયેલા મહાનુભાવ ઉપસ્થિત રહ્યાં હતા.
