Ahmedabad, Gujarat, Jun 14, ગુજરાત ના અમદાવાદમાં શનિવારે ‘પુસ્તક-પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે આજે સાંજે ૦૫૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઓડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘પુસ્તક-પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
‘પુસ્તક-પરિચય’ અંતર્ગત સાહિત્યસર્જક હરીશ મીનાશ્રુના પુસ્તક ‘ધ્રિબાંગસુંદર એણીપર ડોલ્યા’ વિશે પ્રો. અજયસિંહ ચૌહાણે અને સાહિત્યસર્જક ચં. ચી. મહેતાના પુસ્તક’હો હોલિકા’ વિશે નાટ્યકાર મહેશ ચંપકલાલે પુસ્તકનો આસ્વાદલક્ષી પરિચય કરાવી મનનીય વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો, સાહિત્યપ્રેમીઓ અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
અજયસિંહ ચૌહાણ : ‘ધ્રિબાંગસુંદર એણીપેર ડોલ્યા’નું શીર્ષક જ મધ્યકાલીન આખ્યાન પરંપરાનો નિર્દેશ કરે છે. પ્રેમાનંદના ‘ચંદ્રહાસ-આખ્યાન’માં આવતી પંકિત ‘વૈશંપાયન એણી પેરે બોલ્યા, સુણ જનમેજય રાય’નું સર્જનાત્મક રૂપ ‘ધ્રિબાંગસુંદર એણીપેર ડોલ્યા’ છે. કવિ માંડે આખ્યાન; પણ એ પરંપરાગત આખ્યાન નથી. ખાસ તો એના બાહ્ય શિલ્પને જોતાં. મનુષ્યની ‘સ્પ્લીટ પર્સનાલિટી’ના ધ્રિબાંગ અને સુંદર એમ રૂપો આ કાવ્યનું કેન્દ્ર છે. એના માટે કવિ કાવ્યાત્મક ગદ્ય, ગદ્યકાવ્ય, ગઝલ, અછાંદસ, તિર્યગ્ગીતિ, મધ્યકાળનું ઓછું પ્રચલિત સ્વરૂપ કુંડલિયા જેવા જુદા જુદા સ્વરૂપો સાથે ક્રીડા કરે છે. આ કાવ્ય અનુ-આધુનિક ગુજરાતી કવિતાની નાન્દી રુપ રચના છે.
મહેશ ચંપકલાલ : કાજીના ન્યાયની ઠેકડી ઉડાડનું ભવાઈ શૈલીમાં લખાયેલું પ્રહસન ‘હોહોલિકા’. ન્યાયતંત્રમાં પણ કેવો ભ્રષ્ટાચાર ચાલે છે તેના ઉપર કટાક્ષ કરતું નાટ્યમહર્ષિ ચન્દ્રવદન મહેતા દ્વારા સન્ ૧૯૫૭માં ભવાઈ શૈલીમાં લખાયેલું સદાબહાર પ્રહસન એટલે ‘હોહોલિકા’ , પૈસાની લાલચમાં કાજીજી કેવા અવળા ચુકાદા આપે છે, ચોર કોટવાળને દંડે એનો કેવો દાખલો બેસાડે છે તેની વાત કરતું પ્રહસન ‘હોહોલિકા’ છેલ્લા સાત દાયકાથી સતત ભજવાતું રહ્યું છે. અને તેના હિન્દી, મરાઠી, બંગાળી અને અંગ્રેજી ભાષામાં પણ અનુવાદ થયા છે.
