~ મૂલ્યનિષ્ઠ પત્રકારત્વ વિશે યોજાયેલ સંમેલનમાં અમદાવાદના પત્રકારોએ મોટી સંખ્યામાં ભાગ લીધો.
~ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દેહાંત પામેલ આત્માઓની શાંતિ માટે 5 મિનિટ કોમેન્ટ્રી દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ.
Ahmedabad, Gujarat, Jun 15, “ડિજિટલ યુગમાં મૂલ્યનિષ્ઠ પત્રકારિતા માટે પડકારો, સમાધાન” વિષય ઉપર બ્રહ્માકુમારીઝ દ્વારા અમદાવાદ કાંકરિયા ખાતે મીડિયા સંમેલન યોજાયું.
વૈશ્વિક આધ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીઝ દ્વારા અમદાવાદ કાંકરિયા સ્થિત ગુજરાતના ક્ષેત્રિય કાર્યાલય સુખ શાંતિ ભવન ખાતે બ્રહ્માકુમારી સંસ્થાના ગુજરાતના પૂર્વ મુખ્ય વડા સ્વર્ગીય રાજ્યોગીની સરલાદીદીની છઠ્ઠી પુણ્ય સ્મૃતિ દિવસે મહત્વપૂર્ણ વિષય પર મીડિયા સંમેલન યોજાયું. જેમાં શહેરના અનેક નામાંકિત પત્રકારોએ મોટી સંખ્યામાં ભાગ લીધો.
ડિજિટલ યુગમાં મૂલ્યનિષ્ઠ પત્રકારિતા માટે અનેક પડકારો અને તેના સમાધાન વિશે યોજેલા આ મીડિયા સંમેલનની શરૂઆતમાં પ્લેન ક્રેશમાં દેહાંત પામેલા આત્માઓની શાંતિ માટે વંદનના ભાવ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. તથા તેમના પરિવારજનો પર અચાનક આવી પડેલ આપત્તિમાં પ્રભુ શક્તિ અને સામર્થ્ય ભરે એવી સમૂહ પ્રાર્થના પણ કરવામાં આવી.
મીડિયા સંમેલનમાં રાજ્યોગીની નેહાદીદી, પ્રો. ડૉ. સોમનાથ વડનેરે, કેતનભાઇ ત્રિવેદી, આલમદાર બુખારી, ડૉ. જયેશ પારકર, મનોહર વરિયાની, યોગેશ પંડ્યા, જ્ઞાનેન્દ્ર વિશ્વકર્મા, શંકરલાલ પ્રજાપતિ, ચિરાગ શાહ જેવા પધારેલ વિશિષ્ઠ મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી સંમેલનને ખૂલ્યું મૂક્યું.
આ સંમેલનમાં મહારાષ્ટ્ર જલગાંવથી પધારેલ પ્રો. ડો. સોમનાથ વડનેરે ઉદ્ઘાટનના મુખ્ય પ્રવચનમાં જણાવેલ કે, આજે સમાજને સકારાત્મક પરિવર્તન મળે, ડિજિટલ માધ્યમના પડકારો વચ્ચે અનેક પ્રશ્નો હોવા છતાં તેનું સમાધાન વ્યક્તિગત આધારિત છે. અત્યારે સ્વયંની મૂલ્યોમાંથી સમાજને સાચી દિશા આપી પડકારોનું સમાધાન કરવું તે વર્તમાન સમયની મોટી માગ છે. તેમણે પોતાના પ્રવચનમાં અનેક પ્રસંગોનું વર્ણન કરી સમાજમાં સકારાત્મક પરિવર્તન થાય તે માટે સૌને આધ્યાત્મિક જીવનશૈલી અપનાવા અનુરોધ કર્યો.
આ સમારંભમાં ચિત્રલેખાના ડિજિટલ એડિટર શ્રી કેતનભાઇ ત્રિવેદી એ જણાવેલ છે કે, સમાજનું એકમ મૂલ્યનિષ્ઠ માનવ જો પત્રકાર બને તો મૂલ્ય નિષ્ઠ પત્રકારિતાને વધુ વેગ મળે. તેમણે પોતાના મનનીય પ્રવચનમાં બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા યોજાતાં આવા સંમેલનની અનિવાર્યતા પર ભાર મૂક્યો.
ગુજરાત ટુડે ના સહતંત્રી શ્રી આલમદાર બુખારીએ સમાચાર પત્રોના માલિકો, તંત્રી અને સિનિયરો નિર્ણાયકો માટે વિશેષ આવું આયોજન અવશ્ય હોવું જોઈએ તેવા અભિપ્રાય સાથે જણાવ્યું કે, પત્રકારોએ ફરજમાં મૂલ્યોનું જતન કરવું પણ જરૂરી છે.
ટીવી 9ના ધાર્મિક શોના એન્કર ડો. જયેશ પારકર, હિન્દુ સિંધી દૈનિકના તંત્રી મનોહર વરીયાની, પી.આઈ.બી.ના પૂર્વ બ્યુરો ચીફ યોગેશ પંડ્યાએ પણ પોતાના વિચારો રજૂ કર્યા.
આશિર્વચન પ્રવચનમાં રાજ્યોગની નેહાદીદીએ સર્વને માનવીય મૂલ્યોની ધારણાથી સાચા અર્થમાં સમાજસેવક બનવાની સાથે, પ્રેરક ઉદાહરણો દ્વારા ઉચ્ચ પ્રેરણા આપી. વર્તમાન સમયના પત્રકાર જગતના કાર્યની સરાહના કરીને ઉપસ્થિત સર્વ પત્રકારોને મૂલ્યનિષ્ઠ પત્રકારત્વ કરવાની સાથે સાથે ઈશ્વરીય શક્તિઓની પ્રેરણા સૌને સતત મળતી રહે, તેવી શુભેચ્છા પાઠવી. અને અનેક પડકારોની વચ્ચે સમાધાન સ્વરૂપ રહેવાની પત્રકારિતા અપનાવવાના આશીર્વાદ આપ્યા.
કાર્યક્રમનું સંચાલન બ્ર. કુ. ડો. નંદિનીબેને કર્યું. કાર્યક્રમના અંતે સૌ મીડિયા કર્મીએ રાજ્યોગીની સરલાદીદીને પુણ્ય સ્મૃતિ નિમિત્તે મૂલ્ય સ્ટીક અર્પણ કરી અનોખી રીતે શ્રદ્ધાસુમન પણ પાઠવ્યા.
