Spread the love

Ahmedabad, Sep 11, ગર્ભાશયના મુખના કેન્સરની સામે લડત આપવા માટે ડીએનએ વેલનેસે ડીએનએ પ્લોઇડી ટેસ્ટનો વિશેષાધિકાર પ્રાપ્ત કર્યો છે.

CERViSureના લૉન્ચ પર ટિપ્પણી કરતાં ડીએનએ વેલનેસના સહ-સ્થાપક પથિક ભંડારીએ જણાવ્યું

કે ‘CERViSure’ નામથી જાણીતા આ ટેસ્ટની સાથે ડીએનએ વેલનેસે Gujarart ના અમદાવાદમાં ગર્ભાશયના મુખના કેન્સરની નવા પ્રકારની જિનેટિક તપાસની સેવા પૂરી પાડનારી ભારતની પ્રથમ ટેસ્ટિંગ લેબોરેટરી પણ આજે લૉન્ચ કરી છે.

એમણે જણાવ્યું કે વર્ષ 2027 સુધીમાં ભારતમાં 100 CERViSure ટેસ્ટિંગ લેબ્સની સ્થાપના કરવા માટે કંપની રૂ. 200 કરોડનું રોકાણ કરશે. ડીએનએ વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (ડીએનએ વેલનેસ)એ મંગળવારના રોજ કેનેડા સ્થિત બ્રિટીશ કોલંબિયા કેન્સર રીસર્ચ એજન્સી દ્વારા વિકસાવવામાં આવેલા અભૂતપૂર્વ નૈદાનિક સાધન ડીએનએ પ્લોઇડી ટેસ્ટ કરવા માટેના વિશેષાધિકારો પ્રાપ્ત કર્યા હોવાની જાહેરાત કરી હતી. આ ટેસ્ટનું બ્રાન્ડ નેમ ‘CERViSure’ છે, જે ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન કરવા માટેની એક ઝડપી, સચોટ અને વાઢકાપ વગરની પદ્ધતિ છે. તેની સાથે, કંપનીએ અમદાવાદમાં ભારતની સર્વપ્રથમ CERViSure લેબોરેટરીને પણ લૉન્ચ કરી હતી, જે અહીંના લોકોને ગર્ભાશયના મુખના કેન્સરની તપાસની સુવિધા પૂરી પાડશે. રૂ. 5,500માં થતો આ ટેસ્ટ ગર્ભાશયના મુખના કેન્સરને અટકાવવા માટેનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાધન છે.

નવેમ્બર 2020માં સ્થપાયેલી અને ગુજરાતના અમદાવાદમાં પોતાનું વડુંમથક ધરાવતી ડીએનએ વેલનેસ એ ભારતમાં અદ્યતન ડીએનએ પ્રોફાઇલિંગની ટેકનોલોજી પૂરી પાડનાર અગ્રણી દિગ્ગજ છે. તે બીમારીની તપાસ માટે દર્દીઓના પરિણામોને સુધારવા આનુવંશિક અસ્થિરતાની જાણકારી મેળવવાના ક્ષેત્રમાં કામ કરે છે. ભારતને ગર્ભાશયના મુખના કેન્સરથી મુક્ત બનાવવાના મિશનની સાથે આ કંપનીએ કેનેડા સ્થિત બ્રિટીશ કોલંબિયા કેન્સર રીસર્ચ એજન્સીના સંશોધનની મદદથી ભારતીય બજારમાં CERViSure ટેસ્ટ બ્રાન્ડ નેમથી ડીએનએ પ્લોઇડી ટેસ્ટ લૉન્ચ કર્યો છે.

ગર્ભાશયના મુખના કેન્સરની જાણકારી મેળવવામાં ખૂબ મોટી સફળતા ગણાતો CERViSure ટેસ્ટ પરંપરાગત પદ્ધતિઓ કરતાં બે વર્ષ પહેલાં જ કેન્સરજન્ય કોષોને ઓળખી કાઢવામાં મદદરૂપ થાય છે. આ ટેસ્ટ 100%વિશેષતા અને 98%સંવેદનશીલતાની સાથે ઘણી ઊંચી સચોટતા ધરાવે છે.

ખાસ રીતે રચવામાં આવેલા વાઢકાપ વગરની બ્રશનો ઉપયોગ કરીને ગર્ભાશયમાંથી મ્યુકોસલ સેમ્પલ લઇને આ ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ, આ સેમ્પલ પર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે અને એઆઈથી સમર્થિત સોફ્ટવેર વડે તેનું વિશ્લેષણ કરવામાં આવે છે, જે ઊંચી સચોટતાની ખાતરી કરવા માટે 5 કરોડથી વધારે દર્દીઓના સેમ્પલના ડેટાબેઝની સાથે ટેસ્ટના પરિણામોને સરખાવે છે.

CERViSureના લૉન્ચ પર ટિપ્પણી કરતાં ડીએનએ વેલનેસના સહ-સ્થાપક શ્રી ભંડારીએ જણાવ્યું હતું કે, ‘ભારતમાં ડીએનએ પ્લોઇડી ટેસ્ટને લૉન્ચ કરવો એ ભારતને ગર્ભાશયના મુખના કેન્સરથી મુક્ત બનાવવાના અમારા વિઝનની દિશામાં લેવામાં આવેલું અમારું પ્રથમ પગલું છે. તે વહેલું નિદાન કરીને સમગ્ર ભારતની મહિલાઓનું સશક્તિકરણ કરશે અને આમ તે પ્રભાવિત થયેલા દર્દીઓના જીવિત રહેવાના દરને સુધારશે. આપણા ઘરઆંગણે એટલે કે ગુજરાતના માર્કેટથી શરૂઆત કરીને અમે સમગ્ર ભારતમાં અમારી અલાયદી લેબોરેટરીઓ સ્થાપવા જઈ રહ્યાં છીએ, જેથી કરીને CERViSureની પહોંચને વિસ્તારી શકાય.’

પથિક ભંડારીએ આગળ જણાવ્યું હતું કે, ‘આગળ જતાં ડીએનએ વેલનેસ ડીએનએ પ્લોઇડી ટેસ્ટ મહત્તમ સંખ્યામાં દર્દીઓ સુધી પહોંચે તે માટે વર્ષ 2027 સુધીમાં તબક્કાવાર રીતે સમગ્ર ભારતમાં 100 અલાયદી CERViSure લેબોરેટરીઓ સ્થાપવા માટે રૂ. 200 કરોડનું રોકાણ કરશે. ઑક્ટોબર 2024 સુધીમાં કંપની અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં આવી અલાયદી લેબોરેટરીઓનું અનાવરણ કરશે.’

તેના પગલે દેશના અન્ય રાજ્યોમાં પણ વ્યૂહાત્મક વિસ્તરણ કરવામાં આવશે. ડીએનએ પ્લોઇડી ટેસ્ટને સમગ્ર દેશમાં ઉપલબ્ધ કરવાના ઉદ્દેશ્યની સાથે આ ટેસ્ટની પહોંચને વધારવા માટે ડીએનએ વેલનેસની યોજના હોસ્પિટલો, ક્લિનિક અને ડૉક્ટરોની સાથે સહયોગ સાધવાની છે.

20થી 60 વર્ષની સ્ત્રીઓને ઓછામાં ઓછા ત્રણ વર્ષમાં એકવાર CERViSure ટેસ્ટ કરાવવાની ભલામણ કરવામાં આવે છે.

ભારતમાં કેન્સરને કારણે મૃત્યુ પામતી સ્ત્રીઓ પાછળનું મુખ્ય કારણ ગર્ભાશયના મુખનું કેન્સર છે, દર વર્ષે ભારતમાં તેના લગભગ 1.3 લાખ કેસો નોંધાય છે અને તેના કારણે 80,000 સ્ત્રીઓનું મૃત્યુ થઈ જાય છે. નેશનલ કેન્સર રજિસ્ટ્રી રીપોર્ટ 2023 દ્વારા એકઠાં કરવામાં આવેલા ડેટા મુજબ, ફક્ત ગુજરાતમાં જ વર્ષ 2023માં 17,000 સ્ત્રીઓને ગર્ભાશયના મુખનું કેન્સર થયું હોવાનું નિદાન થયું હતું, જ્યારે ગર્ભાશયના મુખના કેન્સરથી પીડાતા 1,800 દર્દીઓ મૃત્યુ પામ્યાં હતાં.

ગર્ભાશયના મુખના કેન્સરનું જોખમ વધારી દેનારા સર્વસામાન્ય પરિબળોમાં લાંબા સમયથી એચપીવીનો ચેપ લાગેલો હોવો (ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાને લીધે), મેદસ્વીતા, ધૂમ્રપાન, ગર્ભનિરોધક દવાઓનો ઉપયોગ અને એકથી વધારે બાળકોને જન્મ આપવાનો સમાવેશ થાય છે. ગર્ભાશયના મુખના કેન્સરને નિવારી શકાતું હોવાથી તબીબી નિષ્ણાતો એચપીવીની રસી લેવાની અને નિયમિત તપાસ કરાવવાની ખૂબ જ ભલામણ કરે છે.

CERViSure તપાસનો અદ્યત્ન વિકલ્પ પૂરો પાડીને આ બાબતની ખાતરી કરે છે, જે પરંપરાગત પદ્ધતિઓની સરખામણીએ કેન્સરજન્ય ફેરફારોને ખૂબ વહેલા અને ખૂબ જ સચોટતાપૂર્વક શોધી કાઢે છે. તપાસની વર્તમાન મિકેનિઝમમાં પેપ સ્મીઅરર્સ (જે 40-55%ની સંવેદનશીલતા ધરાવે છે) અને એચપીવી ડીએનએ ટેસ્ટિંગનો સમાવેશ થાય છે, જે એચપીવી ચેપની હાજરીની તો તપાસ કરે જ છે પરંતુ તે ગર્ભાશયનાં મુખના કેન્સરનું ઊંચું જોખમ હોવાનો પણ સંકેત છે.

સ્ત્રી રોગ અને કૅન્સરના નિષ્ણાંત એવા ડૉ. અંજના ચૌહાણએ જણાવ્યું હતું કે, ‘ગર્ભાશયના મુખનું કેન્સર એ ભારતીય સ્ત્રીઓમાં સૌથી વધારે થતાં કેન્સરોમાંથી એક છે, તેમ છતાં તેને અટકાવવાની શક્યતા પણ સૌથી વધારે છે. જીવ બચાવવા માટે વહેલું નિદાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને CERViSure પહેલના ભાગરૂપે ડીએનએ પ્લોઇડી ટેસ્ટનું લૉન્ચ એક નોંધપાત્ર પ્રગતિ છે. તેની ઉચ્ચ સંવેદનશીલતા અને વિશેષતાની સાથે આ ટેસ્ટ આપણને ગર્ભાશયના મુખનું કેન્સર વિકસે તેના ઘણાં સમય પહેલાં પ્રી-કેન્સરસ ફેરફારોની જાણકારી મેળવવાનું શક્ય બનાવે છે. આપણે દિનપ્રતિ દિન ગર્ભાશયના મુખના કેન્સરના કિસ્સાઓ વધતાં જોઈ રહ્યાં છે ત્યારે આ પ્રકારના નવીનીકરણો પરિણામો સુધારવામાં અને કોઈ પણ સ્ત્રી તપાસથી વંચિત રહીને અજાણતા આ બીમારીનો ભોગ ના બને તેવા ઉજ્જવળ ભવિષ્યની નજીક લઈ જવામાં ખૂબ જ મદદરૂપ થશે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *