~૭ જૂન – વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ
~“ગુજરાત સરકારનો મક્કમ નિર્ધાર : સુરક્ષિત ખોરાક બનશે સ્વસ્થ ભવિષ્યનો આધાર”
~વધુની કિંમતના ૧૫.૩ ટન જેટલા બગડી-સડી ગયેલા ખાદ્ય પદાર્થનો નાશ પણ કરાયો
~FSSA-૨૦૦૬ના ઉલ્લંઘન બદલ ૮૬૪ કેસોના દોષિતોને કુલ રૂ. ૬.૨૧ કરોડનો દંડ ફટકારાયો
~ગત વર્ષે તંત્રની પ્રયોગશાળામાં કુલ ૬૦,૪૪૮ ખાદ્ય નમૂનાની ચકાસણી કરાઈ
~રાજ્યમાં કુલ ૩૨ ફૂડ સેફટી ઓન વ્હિલ્સ દ્વારા ૧.૨૪ લાખથી વધુ નમૂનાની ચકાસણી કરાઈ
~ખાદ્ય સુરક્ષા ક્ષેત્રે વર્ષ ૨૦૨૩-૨૪માં FSSAI દ્વારા ગુજરાતને અગ્રિમ હરોળના રાજ્ય તરીકે પુરુસ્કૃત કરાયું
Gandhinagar, Gujarat, Jun 06, ગુજરાત માં ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ વર્ષ દરમિયાન ૧૯૦થી વધુ રેડ કરીને રૂ. ૧૦.૫ કરોડની કિંમતનો ૩૫૧ ટન શંકાસ્પદ ખાદ્ય પદાર્થનો જથ્થો જપ્ત કર્યો.
નિતિન રથવીએ આજે જણાવ્યું કે સુરક્ષિત ખોરાક એ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ આર્થિક સ્થિરતા અને ટકાઉ વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે, દૂષિત ખોરાક અનેક ગંભીર બીમારીઓને નોતરે છે. એટલા માટે જ, ખાદ્ય સુરક્ષા અને તેના મહત્વ વિશે જાગૃતિ કેળવવા માટે દર વર્ષે તા. ૭ જૂનને “વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની થીમ, ખોરાકની સલામતી માટે વિજ્ઞાનની જરૂરિયાત અને મહત્વતાને ધ્યાનમાં રાખીને “Science in Action” રાખવામાં આવી છે.
“સુરક્ષિત ખોરાક, સ્વસ્થ ભવિષ્ય”ના મંત્ર સાથે ગુજરાતના સામાન્ય નાગરિકોને આરોગ્યપ્રદ, શુદ્ધ અને સલામત આહાર મળી રહે તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજયન સરકારનો મક્કમ નિર્ધાર છે. ખાદ્ય સુરક્ષા પર વિશેષ ધ્યાન આપીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર રાજ્ય સરકારના નિર્ધારને ખરા અર્થમાં સાર્થક કરી રહ્યું છે. વર્ષ ૨૦૨૩-૨૪માં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કામગીરીને બિરદાવતા ભારત સરકારની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા ગુજરાતને અગ્રિમ હરોળના રાજ્ય તરીકે પુરુસ્કૃત કરવામાં આવ્યું હતું.
ગુજરાતના નાગરિકોને આરોગ્યપ્રદ ખાદ્ય જથ્થો ઉપલબ્ધ થાય તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન વિશેષ કાળજી રાખવામાં આવે છે. જે મુજબ વર્ષ દરમિયાન તંત્ર દ્વારા ચકાસણી બાદ કુલ ૧.૨૮ લાખથી વધુ ફૂડ સેફટી લાયસન્સ અને રજીસ્ટ્રેશન આપવામાં આવ્યા છે, જેમાં તંત્ર દ્વારા ૨૩,૫૭૦ ઇન્સ્પેક્શન અને ૧૨,૩૩૪ હાઇ-રિસ્ક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યા છે.
ગત વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન તંત્રની પ્રયોગશાળા દ્વારા કુલ ૬૦,૪૪૮ ખાદ્ય નમૂનાની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી ૧.૪૫ ટકા નમૂના નાપાસ અને ૦.૧૭ ટકા નમૂના અસુરક્ષિત જાહેર થયા હતા. આ ચકાસણી માટે તંત્ર દ્વારા કુલ ૧૬,૧૬૩ એન્ફોર્સમેન્ટ તેમજ ૪૪,૨૮૫ જેટલા સર્વેલન્સ નમૂના લેવામાં આવ્યા હતા.
નાગરિકોની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા વર્ષ દરમિયાન આવતા વિવિધ તહેવારોને ધ્યાને લઇ કુલ ૧૮ સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પેશ્યલ ડ્રાઈવ દરમિયાન ૧૯૦થી વધુ રેડ કરીને તંત્ર દ્વારા જાહેર જનતાના હિતમાં રૂ. ૧૦.૫ કરોડ જેટલી બજાર કિંમત ધરાવતો ૩૫૧ ટનથી વધુ શંકાસ્પદ ખાદ્ય પદાર્થનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ કુલ ૨૯,૫૧૫ નમૂના લેવામાં આવ્યા હતા. આ જથ્થામાં સૌથી વધુ ઘી, મીઠાઈ, માવો, અનાજ તથા અન્ય ખાદ્યપદાર્થનો સમાવેશ થાય છે.
આ સ્પેશ્યલ ડ્રાઈવ સમયે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રૂ. ૨૬ લાખથી વધીની કિંમત ધરાવતા ૧૫.૩ ટનથી વધુ બગડી અને સડી ગયેલા ખાદ્ય પદાર્થનો નાશ કરાવવામાં આવ્યો હતો.
આટલું જ નહિ, નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ઇસમો સામે તંત્ર દ્વારા “ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ-૨૦૦૬” ઉલ્લંઘન બદલ વર્ષ દરમિયાન ૯૮૦ એડજ્યુડિકેશન કેસ દાખલ કરવામાં આવ્યા છે. જે પૈકીના ૮૬૪ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરીને દોષિતોને કુલ રૂ. ૬.૨૧ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત અસુરક્ષિત ખાદ્ય પદાર્થના કિસ્સામાં પણ વર્ષ દરમિયાન કુલ ૮૭ કોર્ટ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં દોષિત પૂરવાર થયેલા ઇસમોને રૂ. ૫૪.૪૨ લાખનો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન અખાદ્ય ખોરાક બાબતે કોર્ટમાં દાખલ કરવામાં આવેલા કુલ ૪૬ કેસોમાં ૬૭ આરોપીઓને કોર્ટે ગુન્હેગાર ઠરાવીને રૂ. ૨૪,૨૬,૦૦૦ નો દંડ તેમજ ૬ માસની સજાના હુકમો પણ કરવામાં આવ્યા છે.
ખાદ્ય પદાર્થોની સ્થળ પર જ પ્રાથમિક ચકાસણી થઇ શકે તે માટે તંત્ર દ્વારા રાજ્યભરમાં કુલ ૩૨ “ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ” કાર્યરત છે. વર્ષ દરમિયાન આ ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ દ્વારા પણ ખાદ્ય પદાર્થોના કુલ ૧.૨૪ લાખથી વધુ નમૂનાની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ફૂડ સેફટી ઓન વ્હિલ્સ દ્વારા રાજ્યના સામાન્ય નાગરીકો અને ખાદ્ય પદાર્થોના વેપારીઓ માટે ૫,૩૭૦ અવેરનેશ કાર્યક્રમ અને ૪૩૫૨ ટ્રેનિંગ કાર્યક્ર્મનું પણ આયોજના કરવામાં આવ્યું હતું.
વર્ષ ૨૦૨૪-૨૫માં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જુદા-જુદા ઇટ રાઇટ ઇનીશિએટિવ્સ હેઠળ આશરે ૧૨૫ ઇટ રાઇટ કેમ્પસનું ઓડિટ અને સર્ટિફિકેશન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત વિધાનસભા, ૧૨ ક્લિન સ્ટ્રીટ ફૂડ હબ, ૧૦,૬૨૦ હાયજીન રેટિંગ, ૩૧ ઇટ રાઇટ સ્ટેશન જેમ કે વડનગર રેલવે સ્ટશન, ૭ ક્લિન ફ્રુટ એન્ડ વેજીટેબલ માર્કેટ, ૫૮ ઇટ રાઇટ પ્લેસ ઓફ વર્સિસ જેમ કે સોમનાથ મંદિર, ૧,૧૬૩ ફોસ્ટાક ટ્રેનિંગ અને ૮ ઇટ રાઇટ સ્કૂલનો સમાવેશ થાય છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની સરાહનીય અને મહત્વપૂર્ણ કામગીરીને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં વધુમાં-વધુ નમૂનાની ચકાસણી કરવા માટેની જરૂરિયાતને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર/અમદાવાદ, મહેસાણા, જૂનાગઢ અને વલસાડ એમ વધુ ૪ નવી લેબોરેટરી મંજૂર કરવામાં આવી છે. આ લેબ કાર્યરત થવાથી તંત્ર દ્વારા બમણી ક્ષમતા અને ઓછા સમયમાં ખાદ્ય નમૂનાનું પરિક્ષણ થઇ શકશે.
