Gandhinagar, Gujarat, Feb 25, મહાશિવરાત્રિના રહસ્યોને સમજવા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધ્યાલયના સેવાકેન્દ્રો પર ૮૯મી શિવજયંતિની ઉજવણી નું આયોજન કરવામાં આવશે.
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધ્યાલય તરફથી આજે જણાવવામાં આવ્યું કે મહાશિવરાત્રિના સર્વ રહસ્યોને સમજીને આપણે પરમાત્મા પ્રત્યેના પ્યારથી આ ૮૯મી શિવજયંતિની ઉજવણી કરીશું તો વધુ સાર્થક તેમજ લાભદાયક રહેશે. મહાશિવરાત્રિના રહસ્યોને સમજવા આપના નજદીકના પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધ્યાલયના સેવાકેન્દ્ર પર સવારે ૮.૦૦ થી ૧૧.૦૦ અને સાંજે ૪.૦૦ થી ૭.૦૦ દરમ્યાન પધારવા હાર્દિક ઇશ્વરીય નિમંત્રણ છે.
વિશ્વમાં પ્રાચીન આપણો ભારત દેશ ઉત્સવોનો દેશ છે. ભારતમાં ઉજવાતાં દરેક ઉત્સવોનું મહત્વ છે, જેમાં આધ્યાત્મિક, નૈતિક અને સામાજિક ભાવનાઓ સમાયેલી છે. દેશમાં ઉજવાતાં દરેક ઉત્સવો, માનવીમાં એક નવી ચેતના જાગૃત કરે છે, જીવનને આશા–ઉમંગથી ભરી દે છે તથા દુઃખ અને અશાંતિથી માનવીને મુક્ત કરે છે. અનેક ઉત્સવોમાં શિવરાત્રિના પર્વનું એક વિશિષ્ટ મહત્વ છે. કારણ કે શિવરાત્રિ એ દેવાધિદેવ શિવના અવતરણની યાદગાર અર્થાત શિવજયંતિનું પર્વ છે.
આપણે સૌ જાણીએ છીએ કે, જ્યોતિ સ્વરૂપ પરમાત્મા શિવ, જેની પૂજા વૈદિક સમયથી જ્યોતિર્લિંગ સ્વરૂપે કરવામાં આવે છે, તેઓ શ્રી કૃષ્ણ, શ્રી રામ અને બ્રહ્મા–વિષ્ણુ-શંકર ત્રિદેવના પણ દેવ છે. તેમજ સર્વ ધર્મસ્થાપકોના પણ પિતા છે. સર્વ મનુષ્ય આત્માઓના પરમપિતા પરમાત્મા શિવ અજન્મા, અકર્તા અને અભોક્તા છે એટલે જ તેમનું કોઈ દૈહિક સ્વરૂપ નથી. તેથી જ્યોતિના પ્રતિક સમાન લિંગની સ્થાપના કરી તેમની પૂજા-અર્ચના કરવામાં આવે છે.
આ મહાજયોતિ સ્વરૂપ શિવ પરમાત્મા સન ૧૯૩૭ માં પ્રજાપિતા બ્રહ્માના સાકાર માધ્યમ દ્વારા સૃષ્ટિ પર અવતરણ કરે છે. જેની યાદગાર રૂપે ઉજવાતી શિવજયંતીને, મહાશિવરાત્રી રૂપે મનાવવામાં આવે છે.
શિવરાત્રિમાં રાત્રિ શબ્દ ખુબજ સૂચક છે. અર્થાત શિવ અવતરણને રાત્રિ સાથે કોઈ સંબંધ છે. આ રાત્રિ તે કઈ રાત્રિ? વર્તમાન કળિયુગનો અંતિમ સમય એટલે ઘોર અંધકારનો સમય, અતિ ધર્મગ્લાનિનો સમય છે. જયારે સમગ્ર વિશ્વમાં દુઃખ, અશાંતિ, ભય, ચિંતા, હિંસા, પાપચાર, દુરાચાર, ભ્રષ્ટાચાર વ્યાપેલ હોય છે. અજ્ઞાન અંધકારના આ સમયે, સ્વયં શિવ પરમાત્મા,ગીતામાં પોતે આપેલા વચન અનુસાર, યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર્ભવતું ભારત…. સૃષ્ટિ પરિવર્તન માટે દિવ્ય અવતરણ કરે છે અને કળિયુગી દુનિયાના વિનાશ બાદ, નવી સતયુગી દુનિયાની સ્થાપના કરે છે.
શિવરાત્રિના પર્વની ઉજવણીના ભાગરૂપે આપણે શિવ મંદિરમાં જઇ અનેક રીતે પુજા-અર્ચન કરીએ છીએ.
શિવ પરમાત્માના પ્રતિક સમ શિવલિંગ પર ચંદનથી કરવામાં આવતી ત્રણ આડી રેખાઓને ત્રિપુંડ કહેવાય છે, તેનું રહસ્ય છે કે, પરમાત્મા શિવ ત્રણ દેવતા દ્વારા ત્રણ કર્તવ્યો કરાવે છે. શંકર દ્વારા કળિયુગી તમોપ્રધાન સૃષ્ટિનો વિનાશ, બ્રહ્મા દ્વારા નવી દુનિયાની સ્થાપના અને વિષ્ણુ દ્વારા સતયુગી દુનિયાની પાલના.
શિવનું અર્ચન-પૂજન ત્રણ પાનવાળા બિલીપત્ર ચઢાવીને કરવામાં આવે છે, આ પ્રતિકાત્મક છે. વાસ્તવમાં જે વ્યક્તિ તન–મન–ધનથી શિવ પરમાત્માને સમર્પિત થાય છે, તેના પર શિવ પરમાત્મા પ્રસન્ન થાય છે. જો આ ભાવનાથી બિલીપત્ર ચઢાવવામાં આવે તો શિવ પરમાત્માના વધુ કૃપાપાત્ર આપણે બનીશું.
શિવલિંગ ઉપર જળાધારીમાંથી વહેતી જળધારા એ પ્રજાપિતા બ્રહ્માના મુખ દ્વારા પરમાત્મા શિવે વહાવેલી જ્ઞાનગંગાધારાનું પ્રતિક છે. આ જ્ઞાનબિંદુઓના સ્મરણ દ્વારા શિવ પરમાત્માનું મહિમાગાન કરવાનું રહસ્ય છુપાયેલ છે. દૂધ દ્વારા શિવને સ્નાન કરાવવાનો અર્થ છે, સ્વચ્છ તેમજ પવિત્ર મન દ્વારા શિવને સમર્પિત થવું.
શિવના મંદિરમાં પ્રવેશતા જ પોઠીયાની પ્રતિમા મુકવામાં આવે છે. પોઠીયાને શિવ પરમાત્માનું વાહન માનવામાં આવે છે. વાસ્તવમાં કળિયુગના અંતે, શિવ પરમાત્માનું અવતરણ બ્રહ્માના તનમાં થાય છે,એટલે પોઠીયો એ પ્રજાપિતા બ્રહ્માની યાદગાર છે.
શિવલિંગના ગર્ભ દ્વાર પાસે કાચબાનું પ્રતિક હોય છે. કાચબાની વિશેષતા છે કે, તે પોતાનું કામ પૂર્ણ થયે પોતાની કર્મેન્દ્રિઓને સંકેલી લે છે, તેજ રીતે સદાશિવની આરાધના માટે આપણે પણ કાચબાની જેમ મનને બધી બાબતોથી સંકેલી પરમાત્મામાં એકાગ્ર કરવાનું છે.
દેવી-દેવતાઓની મૂર્તિની સ્થાપના મંદિરના મુખ્ય દ્વારથી પ્રવેશ કરાવીને થાય છે. જ્યારે શિવલિંગની સ્થાપના મંદિરના શિખર ઉપરથી નીચે ઉતારીને કરવામાં આવે છે. આની પાછળનું રહસ્ય એ છે કે, જ્યોતિબિંદુ પરમાત્મા પરમધામથી સૃષ્ટિ પર અવતરણ કરે છે.
મહાશિવરાત્રિના ઉપરોક્ત સર્વ રહસ્યોને સમજીને આપણે પરમાત્મા પ્રત્યેના પ્યારથી આ ૮૯મી શિવજયંતિની ઉજવણી કરીશું તો વધુ સાર્થક તેમજ લાભદાયક રહેશે. મહાશિવરાત્રિના રહસ્યોને સમજવા આપના નજદીકના પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધ્યાલયના સેવાકેન્દ્ર પર સવારે ૮.૦૦ થી ૧૧.૦૦ અને સાંજે ૪.૦૦ થી ૭.૦૦ દરમ્યાન પધારવા હાર્દિક ઇશ્વરીય નિમંત્રણ છે.
