~અમદાવાદ એરપોર્ટ પર મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી હર્ષ સંઘવી, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ શ્રી મુકેશ પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
*
~ભાવનગરના બે મૃતકોને અમદાવાદ સુધી હવાઈ માર્ગે અને ત્યાંથી પાઈલોટિંગ સાથે ભાવનગર સુધી લઈ જવાયા
*
~મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના સતત દિશા-નિર્દેશનમાં જરૂરી તમામ વ્યવસ્થા ગુજરાત વહીવટી તંત્રે કાશ્મીર વહીવટી તંત્ર સાથે સંપર્કમાં રહીને કરી
**
Ahmedabad, Gujarat, Apr 23, જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના બે સ્વર્ગસ્થ નાગરિકોના મૃતદેહ વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લવાયા હતા.
અમદાવાદ એરપોર્ટ પર આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રોટોકોલ મંત્રી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મંત્રી મુકેશ પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે કહ્યું કે,જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાના ભોગ બનેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહને આજે શ્રીનગરથી વિમાન માર્ગે ગુજરાત પરત લાવવા માટેની તમામ વ્યવસ્થા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત દિશાનિર્દેશનમાં રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા કરવામાં આવી છે. ભાવનગરના બે મૃતકોને અમદાવાદ સુધી હવાઈ માર્ગે અને ત્યાંથી પાઈલોટિંગ સાથે ભાવનગર સુધી લઈ જવાયા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગર પહોંચીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે, એવું તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું કે, મુખ્યમંત્રીના સતત દિશા-નિર્દેશનમાં જરૂરી તમામ વ્યવસ્થા ગુજરાત વહીવટી તંત્ર એ કાશ્મીર વહીવટી તંત્ર સાથે સંપર્કમાં રહીને કરી છે.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ આ ઘટના ઉપર સતત નજર રાખી રહ્યા છે. પાકિસ્તાની વધુ એક નાપાક હરકત દેશ અને દુનિયાએ જોઈ લીધી છે. આતંકવાદીઓએ હિન્દુઓને શોધીને જે મારવાની નીતિ અપનાવી છે તેના કારણે આજે દેશ અને દુનિયા સ્તબ્ધ છે.
એરપોર્ટ પર પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અમદાવાદ પૂર્વ સાંસદ હસમુખભાઈ પટેલ, પશ્ચિમ સાંસદ દિનેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકે પણ ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
