Spread the love

~૧૨ જૂન: વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ
~અમદાવાદમાં બાળમજૂરી અટકાવવા રેઇડ, રેસ્ક્યુ અને રિહેબિલિટેશનની સ્ટ્રેટેજી
~મજૂરીમાં સપડાયેલા બાળકો – કિશોરોને ઉગારી તેમના શિક્ષણ – પુનર્વસનની કાળજી લેતું અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર
~જિલ્લા ટાસ્ક ફોર્સની રચના કરીને છેલ્લાં બે વર્ષમાં કુલ ૫૧ કિશોરો અને ૨૬ બાળકોને કામના સ્થળેથી મુક્ત કરાવવામાં આવ્યાં – ૧૯ એફ. આઈ.આર. દાખલ, ૩૯ ફોજદારી કેસ દાખલ
~કોઈ બાળક મજૂરી કરતું દેખાય, તો તેની જાણ ચાઇલ્ડલાઇન હેલ્પલાઇન નંબર ૧૦૯૮ પર અથવા નજીકના પોલીસ સ્ટેશન કે શ્રમ વિભાગની કચેરીમાં કરી શકાય
Ahmedabad, Gujarat, Jun 10, બાળ મજૂરીની સામાજિક બદીને નાથવા ગુજરાત ના અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રે રેઇડ, રેસ્ક્યુ અને રિહેબિલિટેશનની સ્ટ્રેટેજી અપનાવી છે.
જિલ્લા ટાસ્ક ફોર્સની રચના કરીને છેલ્લાં બે વર્ષમાં કુલ ૫૧ કિશોર અને ૨૬ બાળકોને કામના સ્થળેથી મુક્ત કરાવવામાં આવ્યાં છે. કસૂરવાર માલિકો સામે કુલ ૩૯ ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યા છે અને કુલ ૧૯ એફઆઈઆર નોંધવામાં આવી છે.
ઉમંગ બારોટએ આજે જણાવ્યું કે અમદાવાદ જિલ્લામાં બાળ મજૂરી વિરોધી કાયદાના અસરકારક અમલીકરણ માટે માનનીય કલેક્ટરની અધ્યક્ષતામાં એક વિશેષ જિલ્લા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.
આ ટાસ્ક ફોર્સમાં નિવાસી અધિક કલેક્ટર (નોડલ અધિકારી), મદદનીશ શ્રમ આયુક્ત (સભ્ય સચિવ) સહિત જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા બાળ સુરક્ષા એકમ અધિકારી, પોલીસ અધિક્ષકશ્રી અને અન્ય મહત્ત્વપૂર્ણ વિભાગોના અધિકારીઓ તેમજ એનજીઓના પ્રતિનિધિઓ સભ્ય તરીકે કાર્યરત છે.
આ ટાસ્ક ફોર્સ દ્વારા દર મહિને નિયમિત બેઠક યોજવામાં આવે છે અને જિલ્લામાં ઓછામાં ઓછી બે રેઇડનું આયોજન કરી બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવે છે.
બાળમજૂરી અટકાવવા માટે રેઇડ કર્યા બાદ બાળકોને રેસ્ક્યુ કરીને તેમનું રિહેબિલિટેશન (પુનર્વસન) પણ કરવામાં આવે છે.
મુક્ત કરાયેલાં બાળકોને તાત્કાલિક ધોરણે ચિલ્ડ્રન હોમમાં આશ્રય આપવામાં આવે છે અને ચાઇલ્ડ વેલફેર કમિટી (CWC) દ્વારા જરૂરી તપાસ બાદ તેમને તેમનાં માતા-પિતાને સોંપવામાં આવે છે. બિન-ગુજરાતી બાળકોને તેમના રાજ્યની CWC મારફતે તેમના વાલીઓને સુરક્ષિત રીતે સોંપવામાં આવે છે.
મુક્ત કરાયેલાં તમામ બાળકોની વિગતો જિલ્લા શિક્ષણાધિકારીને મોકલવામાં આવે છે, જેઓ બાળકની ઉંમર અનુસાર યોગ્ય ધોરણમાં શાળા પ્રવેશ અપાવે છે, જેથી તેમનું શિક્ષણ ચાલુ રહી શકે.
જો મુક્ત કરાયેલ બાળકનાં માતા-પિતા પાસે કોઈ આર્થિક ઉપાર્જનનું સાધન ન હોય, તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સંચાલિત વિવિધ રોજગારલક્ષી યોજનાઓનો લાભ અપાવી તેમના પરિવારનું આર્થિક સશક્તિકરણ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬માં બાળ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, ૧૯૮૬માં કરાયેલા સુધારા બાદ કાયદાનું નામ ‘બાળ અને તરુણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, ૧૯૮૬’ કરવામાં આવ્યું છે.
આ કાયદા હેઠળ ૧૪ વર્ષથી ઓછી વયનાં બાળકોને કોઈપણ પ્રકારના વ્યવસાયમાં કામે રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ૧૪થી ૧૮ વર્ષના તરુણોને જોખમી વ્યવસાયો અથવા પ્રક્રિયાઓમાં કામે રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ કાયદાનો ભંગ કરનાર માલિકને રૂ. ૧,૦૦,૦૦૦ સુધીનો દંડ અથવા ૬ માસ સુધીની જેલ અથવા બંને સજાની જોગવાઈ છે.
૧૨ જૂનને વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ તરીકે મનાવાય છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO) દ્વારા ૨૦૦૨માં આની શરૂઆત કરવામાં આવી હતી. વૈશ્વિક સ્તરે બાળ મજૂરીની સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તેને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે જરૂરી પગલાં લેવા માટે મનાવવામાં આવે છે.
આ દિવસ વિશ્વભરની સરકારો, એમ્પ્લોયરો, કામદાર સંગઠનો અને નાગરિક સમાજને એકસાથે લાવીને લાખો બાળકોને બાળ મજૂરીના દૂષણમાંથી મુક્ત કરાવવા માટે પ્રેરણા આપે છે.
આ દિવસ આપણને યાદ અપાવે છે કે દરેક બાળકને શિક્ષણ અને સુરક્ષિત બાળપણનો અધિકાર છે.
અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર બાળ મજૂરી મુક્ત સમાજ બનાવવા માટે કટિબદ્ધ છે. આ મિશન નાગરિકોના સહયોગ વિના અધૂરું છે. જિલ્લા વહીવટી તંત્ર એ અનુરોધ કર્યો છે કે જો આપની આસપાસ કોઈ બાળક મજૂરી કરતું દેખાય, તો તેની જાણ તાત્કાલિક ચાઇલ્ડલાઇન હેલ્પલાઇન નંબર ૧૦૯૮ પર અથવા નજીકના પોલીસ સ્ટેશન કે શ્રમ વિભાગની કચેરીમાં કરી શકાય છે. નાગરિકની એક જાગૃત પહેલ કોઈ બાળકનું ભવિષ્ય બચાવી શકે છે.
સાથે મળીને અમદાવાદને બાળ મજૂરીથી સંપૂર્ણપણે મુક્ત બનાવવાનું અને દરેક બાળકને તેનું સ્વસ્થ અને સુશિક્ષિત બાળપણ આપવાનું આપણું ઉત્તરદાયિત્વ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *