Spread the love

ગાંધીનગર, 01 જૂન, ખેતી નિયામકની કચેરીએ બિનરાસાયણિક પદ્ધતિઓ દ્વારા જમીનજન્ય રોગોનું વ્યવસ્થાપન કરવા મહત્વપૂર્ણ પગલાઓ સૂચવ્યા છે.
ખેતી નિયામકની કચેરી તરફ થી આજે જણાવ્યું કે  રાજ્યભરમાં ચોમાસાના આગમન બાદ પૂરવેગે ખરીફ પાકનું વાવેતર થશે. રાજ્યમાં વાવેતર થાય તે પહેલા બિનરાસાયણિક પદ્ધતિઓ દ્વારા જમીનજન્ય રોગોનું વ્યવસ્થાપન કરવા, ખેડૂતો માટે ખેતી નિયામકની કચેરી દ્વારા કેટલાક મહત્વપૂર્ણ પગલાઓ સૂચવવામાં આવ્યા છે. જમીનજન્ય રોગોના વ્યવસ્થાપન માટે ઉનાળામાં હળ કે ટ્રેક્ટરની દાંતીથી આડી અને ઉભી ઊંડી ખેડ કરવી જોઈએ, જેથી રોગકારક ફૂગ, જીવાણું, કિટકનાં કોશેટા, ઈંડા કે કૃમિ ઊંડી ખેડને કારણે જમીનની ઉપરી સપાટીથી બહાર આવે છે અને અસહ્ય ગરમીથી નાશ પામે છે. આ સાથે જ જમીનની અંદર પૂરતો ઓક્સિજન ન મળવાથી ફૂગનો પણ નાશ થાય છે.
ખેતી નિયામકની યાદીમાં જણાવ્યા અનુસાર દર વર્ષે જમીનમાં પાકની ફેરબદલી કરવી જરૂરી છે. એક જ જમીનમાં એક જ પાકનું વાવેતર કરવાનું ટાળવું જોઈએ, જેથી સૂકારો, મૂળનો કહોવારો, થડનો સડો, ગંઠવા કૃમિ જેવા જમીનજન્ય રોગોનું વ્યવસ્થાપન થઇ શકે. મગફળીના પાકમાં થડના કોહવારાનું પ્રમાણ ઘટાડવા કપાસ, ઘઉં, મકાઇ, જુવાર, ડુંગળી અને લસણ વગેરે પાક સાથે તેની વાવણી કરવાથી જમીનજન્ય રોગોને ઘટાડી શકાય છે.
સંપૂર્ણ કોહવાયેલ, ગળતીયા છાણીયા ખાતર, લીંબોળી ઉપરાંત દિવેલીનો ખોળ, રાયડાનો ખોળ કે મરઘાં-બતકાના ખાતરનો વપરાશ વધારવો જોઈએ, જેથી જમીનનું પોત સુધરે છે તેમજ રોગમાં ઘટાડો થાય છે. મગફળીના પાકમાં થડના કોહવારા માટે વાવણી પહેલા દિવેલીના ખોળને ૭૫૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર તથા કપાસમાં જમીનજન્ય ફૂગથી થતા ધરૂના મૃત્યુ, મૂળખાઈ અને સૂકારા જેવા રોગોના નિયંત્રણ માટે ૧૦ ટન પ્રતિ હેક્ટર છાણીયું ખાતર અથવા ૨ ટન પ્રતિ હેક્ટર પ્રેસમડ અથવા મરઘાનું ખાતર વાવેતર પહેલા જમીનમાં નાખવાથી રોગ નાશ પામે છે.
વધુમાં જણાવ્યા અનુસાર મગફળીમાં ઉગસૂક, મૂળખાઇ અને થડના કોહવારા સામે પ્રતિકારકતા માટે જીજેજી-૩૩ જાતની ભલામણ કરવામાં આવી છે. જમીનનું સૌરીકરણ જમીનનું તાપમાન વધારવા માટે સૂર્યની શક્તિનો ઉપયોગ કરીને, જમીન મારફતે પાકને નુકસાન કરતા જીવાણું, કૃમિ કે કીટકના કોશેટા, ફૂગ, ફૂગના બીજાણું અને નીંદણ નિયંત્રિત કરવા માટેની પર્યાવરણ અનુકૂળ બિનરાસાયણિક પદ્ધતિ અપનાવવી જોઈએ.
કોઈપણ ધરૂવાડીયામાં અથવા ખેતરમાં જ્યારે ખૂબ ગરમી પડતી હોય ત્યારે સૌ પ્રથમ જમીનમાંથી અગાઉના પાકના અવશેષો તથા નીંદામણ દૂર કરી, પાણી આપી, વરાપ થયે છાણિયું ખાતર કે કોઈપણ ખોળ ભેળવી જમીનને ખેડી ભરભરી બનાવવી જોઈએ. ત્યારબાદ તુરંત જ ધરૂવાડીયાના કે ખેતરના ક્યારાના માપ પ્રમાણે ૧૦૦ ગેજનું એલ.એલ.ડી.પી.ઈ. પારદર્શક પ્લાસ્ટિક જમીન પર પાથરી ચારે બાજુથી ચુસ્ત રહે તે રીતે માટીથી પ્લાસ્ટિકની ધારને જમીનમાં દબાવી દેવું જોઈએ. ૧૫ દિવસ સુધી તેને પશુ કે માણસોથી નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. આ રીતે પ્લાસ્ટિકને હવાચુસ્ત રાખવાથી અંદરના ભેજની વરાળ થઈ પાણીની પરપોટીઓ પ્લાસ્ટિકની અંદરની બાજુએ જામી જશે, જે તાપમાન વધારવામાં મદદરૂપ થશે. ૧૫ દિવસ પછી પ્લાસ્ટિક સાવચેતી પૂર્વક કાઢી લેવું અને બીજી જગ્યાએ અથવા બીજા વર્ષે વાપરવા માટે સાફ કરીને વ્યવસ્થિત જગ્યામાં મૂકી રાખવું. જે પાકનું ધરૂવાડીયું નાખવાનું હોય કે વાવણી કરવાની હોય તેની ભલામણ અનુસાર જમીન તૈયાર કરી વાવણી કરવી.
દિવેલા, તમાકુ, કપાસ અને તુવેરના પાકમાં જમીનજન્ય ફૂગથી થતા મૂળખાઈ રોગની તિવ્રતા જમીનનું તાપમાન વધારે હોય તેવા કિસ્સામાં વધુ હોય છે. આવા કિસ્સામાં પાકને સમયસર પિયત આપવું હિતાવહ છે. જમીન જન્ય ફૂગથી થતા રોગ ઉગસૂક, સૂકારો, ધરૂનો કોહવારો, થડનો કોહવારો, મૂળનો કોહવારો વગેરે કેટલાક બીજજન્ય રોગોના અટકાયત માટે જૈવિક નિયંત્રકો જેવા કે ટ્રાયકોડર્મા વીરીડી, ટ્રાયકોડર્મા હરજીયાનમ, શ્યુડોમોનાસ ફ્લુરેસેન્સનો ઉપયોગ કરવો. ઘણા રોગકારકો જમીનમાં રહેતા હોઇ તેના નિયંત્રણ માટે ૧ કિ.ગ્રા. ટ્રાયકોડર્માને ૧૦ કિ.ગ્રા. છાણિયા ખાતરમાં ભેળવી અને વિકસવા દેવું જોઈએ. આવુ તૈયાર કરેલ ૧૦ કિ.ગ્રા. છાણિયું ખાતર ૧૦૦ કિ.ગ્રા. બીજા છાણિયાં ખાતરમાં ભેળવીને જમીનમાં આપવાથી જમીનજન્ય રોગોનું નિયંત્રણ કરી શકાય છે.
આ ઉપરાંત મગફળીમાં થડનો કોહવારો રોગને અસરકારક રીતે કાબુમાં લેવા માટે ૫ કિ.ગ્રા ટ્રાયકોડર્મા હરજીયાનમ અથવા ૨૫૦ કિ.ગ્રા. ટ્રાયકોડર્મા વીરીડી દિવેલી/રાયડાના ખોળ સાથે ભેળવીને વાવતા પહેલા ચાસમાં આપવું અથવા ટ્રાયકોડર્મા ૫ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર માટી સાથે ભેળવી ચાસમાં આપવું. દિવેલામાં સૂકારો તેમજ મૂળનો કોહવારો રોગના જૈવિક નિયંત્રણ માટે ટ્રાયકોડમાં હરજીયાનમ ૫ કિ.ગ્રા.ને ૫૦૦ કિ.ગ્રા. રાયડાના ખોળ સાથે ભેળવીને ચાસમાં આપવાથી રોગને નિયંત્રણમાં લઇ શકાય છે. આ ઉપરાંત તુવેરમાં સૂકારો રોગના જૈવિક નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા હરજીયાનમ ૮ થી ૧૦ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બિયારણ પ્રમાણે પટ આપવો તેમજ છાણિયાં ખાતરમાં વૃદ્ધિ પામેલ ટ્રાયકોડમાં ૨૦૦ ગ્રામ પ્રતિ મીટર પ્રમાણે ચાસમાં આપવાથી રોગનું નિયંત્રણ થાય છે, તેમ યાદીમાં વધુમાં જાણવવામાં આવ્યું છે.