Spread the love

ભાવનગર, 20 મે, ૫૧ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને મેગા અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું.
  શ્રી અંધ અભ્યુદય મંડળ તરફ થી જણાવવામાં આવ્યું કે શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શ્રી શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝાનાં આર્થિક સહયોગથી ૫૧ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને શ્રી અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટ અને શ્રી અંધ અભ્યુદય મંડળ ભાવનગર દ્વારા તૃતીય મેગા અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બંને સંસ્થાનાં પ્રમુખ શ્રી લાભુભાઈ સોનાણીએ લાભાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે જીલ્લાના પ્રજ્ઞાચક્ષુ ભાઈબહેનો પોતાનું જીવન સારીરીતે જીવી શકે તેવા પ્રયાસો સંસ્થા કરી રહી છે. ત્યારે તેનાજ ભાગરૂપે ત્રણેય દાતા પરિવાર તફરથી વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન જીલ્લાના કુલ ૫૧ પરિવારોને દરમહિને નિયમિત રીતે અનાજકીટનું વિતરણ કરવામાં આવશે. જેમાં એક મહિનો ચાલે તેટલું અનાજ ઘઉં, ચોખા, તુવેરદાળ, મરચું, તેલ વિગેરે વસ્તુઓ આપવામાં આવે છે. શ્રી પંકજભાઈ એન. ત્રિવેદી, શ્રી બાબુભાઈ ગોહિલ અને શ્રી અંકિતા ચૌહણનાં વરદહસ્તે અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી શ્રી હસમુખભાઈ ધોરડાએ કર્યું હતું.